હાલોલ ખાતે ‘પ્રાકૃતિક ખેતી’ સેમિનાર અને કાલોલના માલવ ગામે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં રાજ્યપાલ ઉપસ્થિત રહેશે
પંચમહાલ, વિનોદ રાવલ,એબીએનએસ:
રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી તા.૧૯ અને ૨૦ મે, ૨૦૨૬ ના રોજ પંચમહાલ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. રાજ્યપાલની આ પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમોના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જિલ્લાના ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં રાજ્યપાલની મુલાકાતની મુખ્ય વિગતો જોઈએ તો તા.૧૯ મે ના રોજ હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ પ્રાકૃતિક યુનિવર્સિટી ખાતે “પ્રાકૃતિક ખેતી ખેડૂત સંગઠનો” વિષયક રાજ્ય કક્ષાના સેમિનારમાં રાજ્યપાલ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.તથા તા.૨૦ મે ના રોજ કાલોલ તાલુકાના માલવ ગામમાં રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં “ગ્રામ કલ્યાણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર અજય દહિયાએ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી તંત્રને રાજ્યપાલના પ્રોટોકોલ અન્વયે કામગીરી કરવા સૂચના આપી હતી. માલવ ગામ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે તેમણે પીવાનું પાણી, રસ્તાઓની સ્વચ્છતા, અવિરત વીજ પુરવઠો અને મેડિકલ ટીમની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, ઇનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજનબદ્ધ ચર્ચા કરી હતી.















