India’s Agri-Dependency : કૃષિ ક્ષેત્રે ભારત આજે એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવ્યું છે, પરંતુ ભૂતકાળ આજના જેવો નહોતો. 1960ના દાયકામાં આપણે અનાજ માટે વિદેશી મદદ પર આધાર રાખતા હતા, હવે 2023-24માં 33 કરોડ ટનથી વધુ અનાજનું ઉત્પાદન કરીને ભારતે દુનિયાના સૌથી મોટા ખેત-ઉત્પાદકોમાં સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ ગર્વની વાત છે, પરંતુ જો આપણે થોડું ઊંડાણપૂર્વક વિચારીએ તો સમજાય છે કે આ મુદ્દે હજુ પણ આપણે સો ટકા આત્મનિર્ભર નથી બની શક્યા, કેમ કે ખેતી માટે જરૂરી એવા મુખ્ય તત્વ—ખાતર—માટે આપણે હજુ પણ મોટા પાયે વિદેશ, ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશો પર નિર્ભર છીએ.
ભારતના ખેતરો અને ગલ્ફ વચ્ચેની સાંકળ
ખાતરનો મુદ્દો સમજવો ખૂબ જ મહત્ત્વનો છે. ભારતમાં DAP અને યુરિયા જેવા ખાતરો બનાવવામાં આવે છે, પરંતુ તેના માટે જરૂરી એમોનિયા અને ફોસ્ફોરિક એસિડ જેવા કાચા માલ મોટાભાગે આયાત કરવામાં આવે છે. 2024માં ભારતમાં આવતા એમોનિયાનો લગભગ 75% હિસ્સો સાઉદી અરેબિયા, ઓમાન અને કતાર જેવા મધ્ય-પૂર્વના દેશોમાંથી આવ્યો હતો. સૌથી મોટી ચિંતા પોટાશ વિશે છે, કારણ કે ભારત પોટાશની 100% જરૂરિયાત વિદેશથી પૂરી કરે છે. 2024-25માં ભારતે રશિયામાંથી 18 લાખ ટન પોટાશ આયાત કર્યું હતું, જે મધ્ય-પૂર્વના માર્ગે જ ભારત પહોંચ્યું હતું.
ખાતરની આયાતથી થાય છે મોટો ખર્ચો
જો આપણે માત્ર તૈયાર ખાતર જ નહીં, પરંતુ તેના કાચા માલનો પણ ખર્ચ ગણીએ, તો આ આંકડો ઘણો મોટો બને છે. 2021-22માં ભારતે લગભગ $24.3 બિલિયન (લગભગ ₹2 લાખ કરોડ) જેટલો ખર્ચ ખાતર અને તેના કાચા માલ પર કર્યો હતો. આ આંકડો તૈયાર ખાતરની આયાત ($12.8 બિલિયન) કરતા લગભગ બમણો છે.
આ પણ વાંચો : બોમ્બ વિના ઈરાનને પાયમાલ કરવાની ટ્રમ્પની નવી સ્ટ્રેટેજી! ઓઇલના કૂવા બંધ થવાનું જોખમ
ખેત ઉત્પાદન ખર્ચના 16% ખાતર ખાઈ જાય છે
આ ખર્ચની સીધી અસર ખેડૂત પર પડે છે. ઉદાહરણ તરીકે, પંજાબ કે હરિયાણામાં સરેરાશ ખેડૂતને ઘઉં ઉગાડવા માટે ₹14,500 થી ₹22,000 પ્રતિ એકર ખર્ચ થાય છે, જેમાંથી ₹4,500 થી ₹6,500 ફક્ત ખાતર માટે જ ખર્ચાય છે. એટલે કે, ખેડૂતના કુલ ખર્ચનો લગભગ 16% ભાગ ખાતર પર જાય છે. ચોખા માટે પણ આ જ સ્થિતિ છે. જો સરકાર સબસિડી ન આપે, તો આ ખર્ચ 50% સુધી પહોંચી શકે, જે ખેડૂત માટે બહુ મોટો ભાર બની શકે.
સરકારી સબસિડીનો ફાયદો ફક્ત ખેડૂતોને જ નહીં, બીજા દેશોને પણ છે
ખેડૂતોને સસ્તું ખાતર આપવા માટે સરકાર મોટી રકમ ખર્ચે છે. 2024-25માં આ સબસિડી લગભગ $23 બિલિયન (લગભગ 1.9 લાખ કરોડ) જેટલી હતી. ખેડૂતોને ₹242માં મળતી ખાતરની બોરી પાછળ સરકારને ઘણો વધારે ખર્ચ કરવો પડે છે. પરંતુ આ સબસિડીનો મોટો હિસ્સો પરોક્ષ રીતે વિદેશી ખાતર ઉત્પાદકો સુધી પહોંચે છે, કારણ કે આપણે કાચો માલ બહારથી ખરીદીએ છીએ. એટલે આર્થિક રીતે જોવામાં આવે તો આ પૈસા દેશની બહાર જ જઈ રહ્યા છે.
રસપ્રદ વાત એ છે કે, કુદરતી આફત કે યુદ્ધના કારણે જો વિશ્વભરમાં ખાતરના ભાવ વધે છે, તો ભારત સરકારનો સબસિડીનો ખર્ચો આપોઆપ વધી જાય છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે આ સબસિડી ખેડૂતોને નહીં, પરંતુ ગલ્ફ દેશોને પરોક્ષ રીતે આપવામાં આવતી મદદ છે, કારણ કે પૈસા ત્યાંના ખાતર ઉત્પાદકો પાસે જ જાય છે.
આ પણ વાંચો : ટ્રમ્પની મહેનત પાણીમાં? હિઝબુલ્લાહનો સીઝફાયર માનવાનો ઇન્કાર, ઈઝરાયલે કહ્યું- દક્ષિણ લેબેનૉન ખાલી કરો!
શું ખાતરના સસ્તા વિકલ્પ નથી?
આવી પરિસ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું આપણે હંમેશાં આ રીતે વિદેશ પર નિર્ભર રહીશું? જવાબ છે— ના. ભારતમાં વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ તેને યોગ્ય રીતે અને ધીમે ધીમે અમલમાં મૂકવાની જરૂર છે. નીચે થોડા ઉદાહરણો જોઈએ.
1. આંધ્રપ્રદેશમાં Zero Budget Natural Farming – આંધ્રપ્રદેશમાં ‘શૂન્ય બજેટ કુદરતી ખેતી’ (Zero Budget Natural Farming) હેઠળ 80 લાખ હેક્ટરથી વધુ જમીન પર ખેડૂતો જૈવિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે. 2025માં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે આનાથી ખેડૂતોનો નફો બમણો થઈ ગયો, ખર્ચો 20-50% ઘટ્યો અને ઉપજમાં કોઈ ઘટાડો થયો નથી.
2. સિક્કિમની સફેદ ક્રાંતિ: એક દાયકા પહેલાં સિક્કિમ સંપૂર્ણપણે જૈવિક (ઓર્ગેનિક) બન્યું. પાંચ વર્ષમાં ત્યાં ઉત્પાદન ક્ષમતામાં 12% વધારો નોંધાયો.
3. સંકલિત પદ્ધતિ: જો સંપૂર્ણ જૈવિક ખેતી શક્ય ન હોય, તો પણ એક મધ્યમ માર્ગ અપનાવી શકાય છે, જેમાં કેમિકલ્સ અને જૈવિક ખાતર (bio-fertilizer) સાથે ઉપયોગ કરવામાં આવે. આ પદ્ધતિથી ખાતરની જરૂરિયાત 25-40% સુધી ઘટાડી શકાય છે.
ગ્રીન એમોનિયા: ભવિષ્યનો સૌર ઉકેલ
ભવિષ્યમાં સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ ઉકેલ ‘ગ્રીન એમોનિયા’ બની શકે છે. તેમાં સૌર ઊર્જાથી પહેલા પાણી (H₂O)નું વિદ્યુત વિભાજન (electrolysis) કરીને હાઈડ્રોજન ગેસ (H₂) તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ હાઈડ્રોજનને હવામાંથી મેળવેલા નાઈટ્રોજન (N₂) સાથે ઊંચા દબાણ અને તાપમાન પર પ્રતિક્રિયા કરાવવામાં આવે છે, જેને Haber-Bosch પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રતિક્રિયાથી એમોનિયા (NH₃) બને છે, જે ખાતરનું મુખ્ય તત્વ છે. પરંપરાગત પદ્ધતિમાં આ માટે કુદરતી ગેસ વપરાય છે, પરંતુ અહીં ઊર્જાનો સ્ત્રોત સૂર્ય હોવાથી તે સ્વચ્છ (clean) અને ઇકો ફ્રેન્ડલી વિકલ્પ ગણાય છે. ભારત પાસે સોલાર પાવરની વિશાળ ક્ષમતા છે, એટલે આપણે આ ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ.
શ્રીલંકાનું ઉદાહરણ ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે
કોઈ પણ બદલાવ ઉતાવળમાં કરવો ખતરનાક છે. શ્રીલંકાનું ઉદાહરણ આપણી સામે છે. 2021માં ત્યાંની સરકારે રાતોરાત રાસાયણિક ખાતર પર પ્રતિબંધ મૂકી દીધો, પણ એનો કોઈ વિકલ્પ તૈયાર નહોતો. એને પરિણામે ચોખાનું ઉત્પાદન 40% જેટલું ઘટી ગયું, શાકભાજીના ભાવ બમણા થઈ ગયા અને દેશમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ, અને સરકાર પણ પડી ગઈ. આથી સ્પષ્ટ થાય છે કે કોઈપણ બદલાવ એકદમ નહીં, પરંતુ તબક્કાવાર રીતે કરવો જોઈએ.
આ પણ વાંચો : ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા પર જોખમ: ટ્રમ્પના જમાઈ કુશ્નર પાકિસ્તાન જવા રવાના, પણ ઈરાને મોઢું ફેરવ્યું!















