PM Modi Speaks to Saudi Arabia and Bahrain Leaders | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ તથા બહેરીનના કિંગ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે બંને નેતાઓ સાથે વિસ્તારમાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે પણ વાતચીત કરી છે.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરી કહ્યું કે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે પશ્ચિમ એશિયાની બદલાતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. સાઉદી અરેબિયાના સાર્વભૌમત્વ અને અખંડતાના ઉલ્લંઘન સમાન તાજેતરના હુમલાઓની ભારત સખત ટીકા કરે છે. અમે એ વાત પર સંમત થયા છીએ કે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપના અત્યંત મહત્વપૂર્ણ છે. આ મુશ્કેલ સમયમાં ભારતીય સમુદાયની સુરક્ષાનું ધ્યાન રાખવા બદલ મેં તેમનો આભાર માન્યો હતો.
બહેરીનમાં વસતા ભારતીયોની સુરક્ષા અંગે પણ વાતચીત
આ સાથે જ બહેરીનના રાજા સાથે વાતચીત અંગે PM મોદીએ કહ્યું કે, બહેરીનના રાજા કિંગ હમદ બિન ઇસા અલ ખલીફા સાથે ટેલિફોનિક વાતચીત થઈ. ભારત બહેરીન પર થયેલા હુમલાઓની આકરા શબ્દોમાં ટીકા કરે છે. આ મુશ્કેલ સમયમાં અમે બહેરીનની જનતા સાથે ઊભા છીએ. બહેરીનમાં વસતા ભારતીય સમુદાયને સમર્થન બદલ હું તેમનો આભાર માનું છું.
નોંધનીય છે કે ગઇકાલે PM મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી.
ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલા બાદ મિડલ ઈસ્ટમાં ફાટી નીકળેલા યુદ્ધની તમામ અપડેટ્સ
– અમેરિકા અને ઈઝરાયેલે Operation Epic Fury હેઠળ ઈરાન પર પ્રચંડ હુમલા કર્યા, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ માર્યા ગયા
– અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ખામેનેઈએ તેમને બે વાર મારવાનો પ્રયાસ કર્યો હતો, તેથી તેમણે ખામેનેઈની હત્યા કરાવી
– ખામેનેઈના મોતનો બદલો લેવા ઈરાને સાઉદી અરેબિયા, યુએઈ, કતાર સહિતના દેશો પર સેંકડો મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો
– બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાનના હુમલાની નિંદા કરી છે અને પોતાના હિતોની રક્ષા માટે અમેરિકા-ઈઝરાયેલ સાથે મળીને ‘ડિફેન્સિવ એક્શન’ લેવાની જાહેરાત કરી
– ઈરાની મિસાઈલોને રોકવાના પ્રયાસમાં કુવૈતના એર ડિફેન્સે ભૂલથી અમેરિકાના જ 3 F-15 ફાઈટર જેટ્સ તોડી પાડ્યા, તમામ 6 પાયલોટ સુરક્ષિત
– મિસાઈલ હુમલાની સાથે જ ઈરાન પર મોટો સાયબર એટેક થયો
– IAEA ચીફ રાફેલ ગ્રોસીએ જણાવ્યું છે કે હાલમાં ઈરાનના કોઈ પણ પરમાણુ કેન્દ્રને નુકસાન થયું હોવાના સંકેત નથી અને રેડિએશન લેવલ પણ સામાન્ય















