![]()
કાળીપાટ નજીક આવેલી કોલેજની ઘટના, : લાંબા સમયથી બિલ્ડિંગ જર્જરિત : ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવી પડી; ઉંચી ફી ઉઘરાવતી કોલેજોને વિદ્યાર્થીઓની સુરક્ષામાં રસ નથી; રજૂઆત
રાજકોટ, : રાજકોટની નજીક ભાવનગર રોડ ઉપર આવેલા કાળીપાટ ગામે ચાલતી નર્સીંગ કોલેજમાં જર્જરિત બિલ્ડિંગને કારણે લાયબ્રેરીની છતમાંથી પંખો પડતાં ત્રણ વિદ્યાર્થિનીઓને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં રાજકોટનાં એનએસયુઆઇના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ કોલેજનાં બિસમાર બિલ્ડિંગને કારણે ગમે ત્યારે અહીં જાનહાનિ સર્જાશે તેવી ભીતિ સાથે રીપેરીંગની માગણી કરવામાં આવી હતી.
અહીંના ભાવનગર રોડ ઉપર આવેલી મુરલીધર નર્સીંગ કોલેજમાં આવેલી લાયબ્રેરીમાં વિદ્યાર્થિનીઓ વાંચનમાં વ્યસ્ત હતી ત્યારે એકાએક ધડાકાભેર છતમાંથી પંખો નીચે પટકાયો હતો. જેના કારણે એક વિદ્યાર્થિનીને માથામાં જ્યારે બીજી વિદ્યાર્થિનીને આંખ ઉપર ઇજા થઇ હતી. ત્રણ વિદ્યાર્થીઓને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. દરમિયાન એનએસયુઆઇના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપુતને વિદ્યાર્થીઓએ જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ કોલેજ સંચાલકોને જર્જરિત બિલ્ડિંગ ત્વરીત રીપેર કરવાની માંગ કરી હતી. ખાનગી સંસ્થાઓ ફી વસૂલવામાં માહિર હોય છે પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ચિંતા કરતી નથી તેમ જણાવી યુનિ.ની લોકલ ઇન્કવાયરી કમીટી દ્વારા દર વર્ષે તપાસ કરવામાં આવતી હોવા છતાં કઇ રીતે સુરક્ષાના મુદ્દે કોઇ કાર્યવાહી થતી નથી તેમ જણાવ્યું હતું. આ મુદ્દે કોલેજના સંચાલકોને મોબાઇલ ફોન ઉપર પ્રયાસ કરવામાં આવતા સ્વીચ ઓફ આવતો હતો. આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.















