– સીજેઆઈના નિવેદન બાદ રાતોરાત પાર્ટી બની: રાજકીય સુનામીનાં એંધાણ
– કોકરોચ જનતા પાર્ટીના ફોલોઅર્સ ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ વધારે: અંતે એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરાયું
– કોકરોચ જનતા પાર્ટીના નામે જુદા જુદા ત્રણ ટ્રેડમાર્ક રજિસ્ટર કરવા અરજી: એકમાં નામ ઉપરાંત સિમ્બોલ મેળવવા પણ દાવો
– કોકરોચ પાર્ટીના અભિજીતે ‘કોકરોચ ઇઝ બેક’ નામથી નવું એકાઉન્ટ બનાવ્યું
– કોકરોચ પાર્ટીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્ટિવ, 1.70 કરોડ ફોલોઅર્સ: પાંચ દિવસમાં સવા કરોડ ફોલોઅર્સ વધ્યા
નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયધીશે એક સુનાવણી વખતે ટીપ્પણી કરી હતી કે કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ અને પેરાસાઈટ જેવા હોય છે. એમાંથી અમુક મીડિયા, સોશિયલ મીડિયા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છે. આ ટીપ્પણી પછી યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. સોશિયલ મીડિયામાં એના પડઘા પડયા હતા. જોકે, એ પછી સીજેઆઈએ સ્પષ્ટતા પણ કરી હતી કે તેની ટીપ્પણીને જુદી રીતે લેવામાં આવી છે, પરંતુ ત્યાં સુધી આ મામલો ઉગ્ર બની ચૂક્યો હતો.
આ ઘટનાનો પડઘો સોશિયલ મીડિયામાં પડયો હતો. અભિજીત દીપકે નામના મહારાષ્ટ્રના યુવકે કટાક્ષમાં કોકરોચ જનતા પાર્ટી નામની વેબસાઈટ બનાવી હતી અને એ જ નામના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બનાવીને બેરોજગાર યુવાનોને એમાં જોડાવાનું કહ્યું હતું. અભિજીત બોસ્ટનની યુનિવર્સિટીમાં પીઆરમાં ડિગ્રી મેળવીને આવ્યો પછી તેને નોકરી મળી ન હતી. તેણે આ એકાઉન્ટ્સ બનાવ્યા તે એટલા ચાલ્યા કે પાંચ દિવસમાં તો લાખો ફોલોઅર્સ થઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ૧.૬૭ કરોડ ફોલોઅર્સ થઈ ગયા હતા. એ સાથે જ ૮૮ લાખ ફોલોઅર્સ ધરાવતા ભાજપ અને ૧.૩૩ કરોડ ફોલોઅર્સ ધરાવતા કોંગ્રેસને પણ પાછળ રાખી દીધા હતા. ઈન્સ્ટાગ્રામમાં આ અકાઉન્ટના ફોલોઅર્સ માત્ર પાંચ દિવસમાં સવા કરોડ વધ્યા હતા. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી માત્ર ૬૧ પોસ્ટ થઈ હતી અને એટલી પોસ્ટમાં જ ફોલોઅર્સનો આંકડો પોણા બે કરોડ જેવો થયો છે. વિપક્ષના કેટલાય નેતાઓએ આ ટ્રેન્ડની નોંધ લઈને તેનું સમર્થન કર્યું હતું. કેટલીય સેલિબ્રિટી આ પેજને ફોલો કરતી હોવાના પણ અહેવાલો આવ્યા હતા.
દરમિયાન અભિજીતે એક પોસ્ટ મૂકીને દાવો કર્યો હતો કે તેનું એક્સ પ્લેટફોર્મનું અકાઉન્ટ બ્લોક કરી દેવાયું છે.
તેણે કોકરોચ ઈઝ બેક અને કોકરોચ ડોન્ટ ડાઈ એવી ટેગલાઈનથી કોકરોચ જનતા પાર્ટી ઓફ ઈન્ડિયા નામનું એકાઉન્ટસ બનાવ્યું હતું અને એમાં ગણતરીના કલાકોમાં જ લાખો ફોલોઅર્સ થઈ ચૂક્યા છે.
સોશિયલ મીડિયામાં અકાઉન્ટ્સ બ્લોક કરવાના મુદ્દે અભિજીતે કહ્યું હતું કે કોર્ટમાં અપીલ કરવાની તજવીજ શરૂ થઈ છે.
અભિજીત વિશે પછી તો એવી પણ વાતો સામે આવી કે તેણે આમ આદમી પાર્ટી માટે કામ કર્યું હતું. આ ઓનલાઈન પૉલિટિકલ પાર્ટીએ મેમ્બર બનવા માટે કેટલીક રમૂજી શરતો પણ મૂકી હતી. જેમાં બેરોજગાર હોવું જરૂરી છે એવું લખીને રોજગારી મુદ્દે કટાક્ષ કર્યો હતો.















