![]()
મ્યુનિ.કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણના ગેરકાયદે કબજાના વિવાદ વચ્ચે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા આ પ્લોટની હરાજી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવી મેયર, મ્યુનિ.કમિશ્નર અને ચેરમેનને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ગુજરાત હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ હોઈ, સુનાવણીમાં જણાવાયું છે કે આજ સુધીનું નુકસાન ભરપાઈ કરવુ પડશે ત્યારે કોર્ટના અવલોકનની ઉપરવટ જઈ આ પ્લોટની હરાજીની ગોઠવણ કરી યુસુફ પઠાણને પ્લોટ આપી દેવાનો પ્રયાસ કોર્ટનું અપમાન ગણાશે.
વર્ષ ૨૦૧૨થી ૨૦૨૬ (૧૪ વર્ષ)સુધી તાંદળજાની ટીપી ૨૨ના પ્લોટ નંબર ૯૦ વાળા ૯૭૮ ચો.મી સાઈઝના વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના પ્લોટ પર પરવાનગી વગર કબજો રાખ્યો ત્યારે મ્યુનિ.કોર્પોરેશને આ પ્લોટને દૈનિક પ્રતિ.ચોરસ મીટર રૂા.૧૫ લેખે ભાડે આપવાનો ઠરાવ કર્યો હોઈ તે મુજબ માત્ર રૂા. ૭.૫૦ કરોડ વ્યાજ સાથે દંડનીય પેનલ્ટી વસૂલવાની થાય છે.
જો કે આ હકીકત છુપાવી હાલના બજાર ભાવે પ્લોટની હરાજીનો નિર્ણય કરવાનો છે, જેથી યુસુફ પઠાણને ફાયદો અને મ્યુનિ.કોર્પોરેશનને આર્થિક નુકસાન થતા સત્તાના દુરપયોગનો ગુનો ગણાશે. દબાણકર્તા યુસુફ પઠાણને કોર્ટે “સ્ટે’ એટલે કે “સ્ટેટસ
ક્વો’ યથાવત સ્થિતિ જાળવણીનો હુકમ કર્યો નથી, છતાં મ્યુનિ.કોર્પોરેશને દબાણ દૂર કરી પ્લોટ પાલિકા હસ્તક લીધો નથી. આ પ્લોટના કેસનો હાઈકોર્ટમાં નિકાલ થાય અને ૧૪ વર્ષ પ્લોટના ઉપયોગ બદલ લાગત વસૂલાય નહિ ત્યાં સુધી હરાજી યોજવી નહિ તેવી માગ કરાઈ છે.















