Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, તેવા સમયે જ રાજ્ય ચૂંટણી આયોગે રાજકીય પક્ષોને ચૂંટણી, મતદાન કે મતગણતરી એજન્ટ તરીકે ગુનેગાર લોકોને પણ બેસાડવાની છૂટ આપી દેતા ભારે વિવાદ સર્જાયો છે. રાજકીય પક્ષના એજન્ટ ગુનેગાર ન હોવા જોઈએ, તેવી મહત્ત્વની જોગવાઈ ચૂંટણી આયોગે રદ કરી છે. આયોગનો આ નિર્ણય એક તબક્કે લોકશાહી માટે કલંક સમાન બન્યો છે.
ચૂંટણી એજન્ટોની નિમણૂક અંગે નવો પરિપત્ર
ગુજરાતના ચૂંટણી આયોગ દ્વારા રાજકીય પક્ષોના ચૂંટણી એજન્ટની નિમણૂક કરવા બાબતે ગઈકાલે તા.23 એપ્રિલના રોજ એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટ અને મતગણતરી એજન્ટ તરીકે પોતાના કાર્યકરોની નિમણૂક કરવામાં આવતી હોય છે. જેને સત્તાવાર રીતે ચૂંટણી પંચ દ્વારા માન્યતા આપવામાં આવે છે.
પરિપત્રનો અંતિમ ફકરો અને ગંભીર વિવાદ
પરિપત્રમાં શરૂઆતની તમામ સૂચનાઓ તો સામાન્ય છે, પરંતુ અંતિમ ફકરામાં ચૂંટણી આયોગે એક ગંભીર બાબત લખી છે. જેમાં રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની પણ છૂટ આપી દેવામાં આવી છે. પરિપત્રમાં લખવામાં આવેલી વિગતો જોઈએ તો, ‘નિયુક્ત કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટ, મતગણતરી એજન્ટ પર કોઈપણ જાતનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ કે ગુનાઈત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ’
ચૂંટણીમાં ગુનેગારોને છૂટ: નિષ્પક્ષતા સામે સવાલો
જોગવાઈ આથી રદ કરવામાં આવે છે. એક તરફ નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણીની વાતો થાય છે, બીજી તરફ જે મતદાન મથક પર ગુનેગારો એજન્ટ તરીકે બેઠાં હોય ત્યાં લોકો કેવી રીતે ભયમુક્ત થઈને મતદાન કરી શકશે? તે મોટો સવાલ છે.
















