![]()
રાજકોટ રેન્જના આઈજી દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલા નિર્દેશો બાદ જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર સક્રિય બની ગયું છે. વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને ધમકી જેવા ગુનાઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર શહેરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી સંબંધિત બે અલગ-અલગ ગુનાઓ નોંધાતા ચકચાર મચી છે.
પ્રથમ ફરિયાદ મુજબ શાકભાજીના એક વિક્રેતા જીગ્નેશભાઈ મગનભાઈ ખાણધર (ઉ.વ. 33), રહે. રણજીતસાગર રોડ, જામનગર દ્વારા નોંધાવવામાં આવ્યું છે કે આરોપી અશોકભાઈ મૂળજીભાઈ નંદા પાસેથી પ્રથમ વખત 70,000 રૂપિયા માસિક 10 ટકા લેખે વ્યાજે લીધા હતા.
ફરિયાદ મુજબ, ફરિયાદીએ સમયાંતરે ગુગલ પે મારફતે કુલ અંદાજે રૂ. 7 લાખ ચૂકવ્યા હોવા છતાં આરોપી દ્વારા વધુમાં વધુ રકમ લેતા કુલ રૂ. 3.50 લાખ જેટલા લીધેલા પૈસાના બદલે અંદાજે 35થી 40 લાખ સુધી ઉઘરાણી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
તે છતાં આરોપી દ્વારા જાહેરમાં ગાળો આપવી, ધમકી આપવી તથા જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી સતામણી કરવામાં આવતી હતી. આ મામલે ભારતીય ન્યાય સંહિતા કલમ 352, 351(3) તથા મનીલેન્ડર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
જ્યારે બીજો ગુનો પણ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે. જેમાં કુલદીપભાઈ હરીશભાઈ પંડ્યા નામના યુવાને પોતાની પાસેથી પાંચ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલનાર જામનગરના પ્રદ્યુમનસિંહ ભગવતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. જેણે પોતાની પાસેથી મોટુ વ્યાજ વસૂલ લીધા છતાં કોરા ચેકમાં સહી કરાવી લીધા બાદ તે ચેક બેંકમાંથી રિટર્ન કરાવી તે અંગેના ચેક રિટર્ન ની ફરિયાદ પણ નોંધાવી ત્રાસ આપ્યો હોવાથી આખરે મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે આ બાબતે પણ તપાસ હાથ ધરી છે.















