![]()
– સગીરાના ગર્ભપાત મુદ્દે એઈમ્સની ક્યુરેટિવ અરજી પર સુપ્રીમ ભડકી
– રેપ પીડિતાઓને અનિચ્છિત ગર્ભ દૂર કરવા 20 સપ્તાહની મર્યાદા દૂર કરો, કાયદો બદલાતા સમયને અનુરૂપ હોવો જોઈએ : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સગીરાના ગર્ભપાત સંબંધિત એક કેસમાં ગુરુવારે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. બળાત્કાર પીડિત એક સગીરાના ૩૦ સપ્તાહના ગર્ભપાતને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના આદેશને એઈમ્સે ક્યુરેટિવ અરજી કરી પડકાર્યો હતો. આ અરજી નકારી કાઢતા સુપ્રીમે કહ્યું કે, સરકારે નાગરિકોની પસંદગીનું સન્માન કરવું જોઈએ. કોઈ સગીર રેપ પીડિતાને ગર્ભ જાળવી રાખવા ફરજ પાડી શકાય નહીં. સુપ્રીમે રેપ પીડિતાઓને ૨૦ સપ્તાહથી વધુના અનિચ્છિત ગર્ભને પાડી દેવા મંજૂરી માટે કાયદામાં સુધારો કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા.
બાળકો સહિત બળાત્કાર પીડિતાઓ અને તેમના શરીર પર સ્વાયત્તતાના મુદ્દે દૂરગામી અસરો ધરાવતા ચૂકાદામાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે એઈમ્સ દ્વારા દાખલ કરાયેલી ક્યુરેટિવ અરજી નકારી કાઢી હતી. આ અરજીમાં એઈમ્સે ૩૦ સપ્તાહના ગર્ભને દૂર કરવા ૧૫ વર્ષની સગીરાને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. એઈમ્સની આ અરજી સામે સુપ્રીમે સખત વાંધો ઉઠાવ્યો હતો. સુપ્રીમે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ પર અનિચ્છિત ગર્ભાવસ્થા થોપી શકાય નહીં. આ સગીર માતાએ જે પીડા અને અપમાન સહન કરવા પડશે તે અંગે વિચારો. સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારને કોઈ પણ બળાત્કાર પીડિત મહિલાઓને ૨૦ સપ્તાહ બાદ અનિચ્છિત ગર્ભ ખતમ કરવાની મંજૂરી મળી શકે તે માટે કાયદામાં સુધારો કરવા પર વિચાર કરવા પણ જણાવ્યું હતું. બળાત્કારના કારણે કોઈ મહિલા ગર્ભવતી બને તો આ ગર્ભને પાડવા માટે કોઈ સમય મર્યાદા ના હોવી જોઈએ. કાયદો લચીલો અને બદલાતા સમય સાથે તાલમેલ બેસે તેવો હોવો જોઈએ. સુપ્રીમે કેન્દ્ર સરકારને એમ પણ નિર્દેશ આપ્યા કે તે કાયદો બદલે જેથી બળાત્કાર જેવા કેસોની સુનાવણી એક સપ્તાહની અંદર પૂરી થઈ શકે. એઈમ્સની ક્યુરેટિવ અરજી પર સુપ્રીમે કહ્યું કે, નાગરિકોનું સન્માન કરો મેડમ તમારી પાસે અમારા આદેશને પડકારવા માટે કોઈ અધિકાર નથી. માત્ર પીડિતા અથવા તેનો પરિવાર જ આ ચુકાદાને પડકારી શકે છે. આ પહેલા ૨૪ એપ્રિલે ન્યાયાધીશો બી.વી. નાગરત્ના અને ઉજ્જવલ ભુઈયાની બેન્ચે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી.
સુપ્રીમે કહ્યું કે, માતાને કોઈ કાયમી શારીરિક ખામી ના થતી હોય તો ગર્ભપાતની પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. આ એક બાળકી સાથે થયેલા બળાત્કારનો કેસ છે. પીડિતાને આખું જીવન તેની પીડા અને ટ્રોમા સહન કરવો પડશે. આ હજુ એક બાળકી જ છે. અત્યારે તેણે અભ્યાસ કરવો જોઈએ, પરંતુ તમે તેને માતા બનાવવા માગો છો.
એઈમ્સના ડોક્ટરે સુપ્રીમને કહ્યું કે, આ કેસ બાળકી વિરુદ્ધ ભૂ્રણનો નથી, પરંતુ આ કેસ બાળકી વિરુદ્ધ બાળકીનો છે. હવે ગર્ભ ખતમ કરવો શક્ય નથી. બાળક જીવિત જન્મ લઈ શકે છે, જેમાં ગંભીર મુશ્કેલી થશે. સગીરા માતાએ આજીવન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને તે ભવિષ્યમાં માતા નહીં બની શકે. આ બાળકને દત્તક આપી શકાય છે. હવે ૩૦ સપ્તાહ થઈ ગયા છે. હવે બાળક જીવન જીવવાની સ્થિતિમાં છે.
સુપ્રીમે એઈમ્સને કહ્યું કે, તે આ મામલે સગીરાના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરે. આ અંગે અંતિમ નિર્ણય એ જ વ્યક્તિનો હોવો જોઈએ, જેની સાથે આ કેસ જોડાયેલો છે. ગર્ભ રાખવો કે નહીં તેનો નિર્ણય માતા-પિતા અને પીડિતાનો જ હોવો જોઈએ. એઈમ્સ તેમને સમજી વિચારીને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.















