![]()
વડોદરા,જાંબુવા બ્રિજ નજીક રોંગ સાઇડ આવતી કારના ચાલકે બાઇકને ટક્કર મારતા દંપતી અન બાળક રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. જેમાં પતિનું સ્થળ પર જ મોત થયું હતું.
અંકલેશ્વરની સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષના મકસુદઆલમ મોબીનભાઇ અનસારી અંકલેશ્વર કોર્પોરેશનમાં વેસ્ટ મેનેજમેન્ટ મિકેનિક તરીકેનું કામ કરે છે. ગત ૧૨ મી તારીખે તેઓ પત્ની અને પુત્ર સાથે બાઇક લઇને અમદાવાદ નારોલ ખાતે નાના ભાઇના ઘરે ગયા હતા. આજે સવારે નારોલથી નીકળી તેઓ અંકલેશ્વર જતા હતા. સવારે સાડા સાત વાગ્યે તેઓ જાંબુવા બ્રિજ ઉતરીને આગળ જતા હતા. તે દરમિયાન સામેથી રોંગ સાઇડે આવતી કારના ચાલકે રોડ ક્રોસ કરવા જતા બાઇકને ટક્કર મારી હતી. જેથી, બાઇક પર જતા ત્રણેય રોડ પર ફંગોળાઇને પડયા હતા. મકસુદઆલમને માથા તથા ચહેરા પર ઇજા થઇ હતી. એમ્બ્યુલન્સના એટન્ડન્ટે આવીને તેઓનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળા જામતા હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. કપુરાઇ પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.સી.રાઓલે સ્ટાફ સાથે ઘટના સ્થળે જઇ ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો. પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.















