![]()
વડોદરા નજીક ધનિયાવી રોડ ખાતે પેટ્રોલ પંપના રૂપિયા મામલે ઉદ્ભવેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પેટ્રોલ પંપના માલિક યુવરાજસિંહ ઉર્ફે અપ્પુ મહિડા પોતાના સાગરીતો સાથે લક્ઝરીયસ કારમાં હથિયારો લઈ પૂર્વ કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં ત્રણેયને ઇજાઓ પહોંચી છે.
ફરિયાદી 33 વર્ષીય રાકેશ અશોકભાઈ રાવળ અગાઉ ધનિયાવી રોડ પર પુરંદર ફાર્મ નજીક આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર ફિલર તરીકે નોકરી કરતો હતો. ગઈકાલે બપોરે રાકેશ પોતાના પુત્ર સાથે મોપેડ પર શાકભાજી લેવા તરસાલી બ્રિજ તરફ જતો હતો ત્યારે પેટ્રોલ પંપના માલિક યુવરાજસિંહ મહિડા ફોર્ચ્યુનર કારમાં આવી પહોંચ્યા હતા. તેમણે રાકેશ પર રૂ.22 હજાર પેટ્રોલ પંપના રૂપિયા લઈ જવાનો આક્ષેપ કરી કબૂલાત અને પરત આપવાની ધમકી આપી હતી. રાકેશે આક્ષેપ નકારી કાઢતા માલિકે તેને માર માર્યો હતો.
આ ઘટનાથી ભયભીત થઈ રાકેશ પોતાના પુત્ર સાથે ઘરે પરત ફર્યો હતો. પરંતુ મોડી રાત્રે ફરી હુમલો થયો હતો. રાકેશ પોતાના સાળા મેહુલ અને ભરત સાથે તેલ લેવા નીકળ્યો હતો ત્યારે ભાલીયાપુરા ગામ પાસે BMW કારમાં આવેલા યુવરાજસિંહ તથા રાજવીરસિંહ ઉર્ફે અજ્જુ મહિડા, જયરાજસિંહ મહિડા, હંસરાજસિંહ મહિડા સહિત અન્ય પાંચ શખ્સોએ લાકડાના દંડા અને ધારિયાં વડે હુમલો કર્યો હતો.
હુમલાખોરોના ત્રાસથી બચવા માટે ત્રણેય ખેતર તરફ ભાગ્યા હતા, હુમલાખોરોએ તેમનો પીછો કર્યો હતો. બાદમાં ગ્રામજનો એકત્ર થતા હુમલાખોરો કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટનામાં રાકેશ, મેહુલ અને ભરતને ઇજાઓ પહોંચી હતી. જેમાં મેહુલને ગંભીર ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે ફરિયાદના આધારે કપુરાઇ પોલીસે આરોપીઓ સામે મારામારી, રાયોટીંગ અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.















