![]()
Vadodara : વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત નજીક આવી રહી છે ત્યારે માર્ગો પર પડેલા ખાડાઓ અને ગટરના તૂટેલા તેમજ ઊંચા-નીચા ઢાંકણાંને કારણે નાગરિકોમાં ચિંતા વધી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં યુદ્ધના ધોરણે પેચવર્ક અને રિપેરિંગ કામગીરી હાથ ધરવાની માંગ ઉઠી છે.
શહેરમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ લાઈનો સંબંધિત વિવિધ કામગીરી માટે છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ ખોદવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં કામગીરી પૂર્ણ કરીને રસ્તાઓને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ અનેક સ્થળોએ કામ ચાલુ હોવાથી નાગરિકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાના કારણે રસ્તાઓ પરના ખાડા અને જોખમી સ્થળો દેખાતા નથી, જેના કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે. તેથી વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં બાકી રહેલી તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સામાજિક કાર્યકર રાકેશ ઠાકોરે ખાસ કરીને વોર્ડ નંબર-12માં આવેલા અકોટા-મૂજમહુડા માર્ગની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ માર્ગની વચ્ચોવચ મોટા ખાડાઓ તેમજ તૂટેલા ગટરના ઢાંકણાં વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા છે.
તેમણે જણાવ્યું હતું કે વરસાદી પાણી ભરાઈ જાય ત્યારે આવા ખાડા અને તૂટેલા ઢાંકણાં નજરે પડતા નથી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ જોખમ વધુ વધી જાય છે.
નાગરિકો અને સામાજિક આગેવાનોની માંગ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ચોમાસા પૂર્વે વિશેષ અભિયાન હાથ ધરી શહેરના મુખ્ય તેમજ આંતરિક માર્ગો પરના ખાડાઓનું પેચવર્ક કરે, તૂટેલા ગટરના ઢાંકણાં બદલે અને ઊંચા-નીચા ઢાંકણાંનું લેવલિંગ કરીને માર્ગોને સુરક્ષિત બનાવે, જેથી વરસાદી મોસમ દરમિયાન નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.















