![]()
વિશ્વામિત્રી ટાઉનશિપ પાસે વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા કોંગ્રેસી કાર્યકરે ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થવાની ચિંતા વ્યક્ત કરી છે.
વોર્ડ નંબર ૧૨માં સમાવિષ્ટ વિશ્વામિત્રી ટાઉનશીપ પાસેથી ગાયકવાડી સમયનો વરસાદી કાચો કાંસ પસાર થાય છે. આ કાંસ મૂજમહુડા વિદ્યાકુંજ શાળાથી સનસિટિ સોસાયટી થઈ વિશ્વામિત્રી નદીમાં ભળે છે.
આજે કોંગ્રેસી કાર્યકરે કાંસમાં વેસ્ટ ઠાલવવા મુદ્દે વાંધો ઉઠાવી જણાવ્યું કે વરસાદી કાંસની બંને તરફ અડધો કિલોમીટરના વિસ્તારમાં કાટમાળ ઠલવાઈ રહ્યો છે, કાંસ સાંકડો થતા ચોમાસામાં મુજમહુડા ગામ, સામ્રાજ્ય અને સનસિટિ સોસાયટીઓની આસપાસનો વિસ્તાર, વિશ્વામિત્રી ટાઉનશીપ,ખિસકોલી સર્કલ, વડસર સહિતના અનેક વિસ્તારો નજીવા વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થશે. સાથે કાટમાળમાં પીઓપી સહિતનો હાનિકારક વેસ્ટ હોવાથી પર્યાવરણ માટે પણ ચિંતાનો વિષય હોવાનું જણાવાયું છે.
વધુમાં, મ્યુનિ. કોર્પોરેશન હાલ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો રોકવા માટે વિશ્વામિત્રી નદી તથા વરસાદી કાંસોને પહોળા અને ઊંડા કરવાની કામગીરી કરી રહી છે ત્યારે આ પ્રકારે નીંદનીય પ્રવૃત્તિ આચરી કાંસ પુરવાની અને દબાણ કરવાની પેરવી થઈ રહી હોઈ એને તાત્કાલિક રોકવાની માગ કરાઈ છે.















