![]()
યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા ગુજરાતમાં સરસ્વતીજીનાં જૂજ મંદિરોમાંનું એક જૂનાગઢમાં આવેલું, આજે વસંત પંચમીએ વિશેષ પૂજન
જૂનાગઢ, : આવતીકાલે તા. 23ના વસંત પંચમીની ઉજવણી થશે. આ દિવસે વાણીના દેવી સરસ્વતીજીનું પૂજન કરવામાં આવશે. દેવી ભાગવતના ઉલ્લેખ મુજબ સરસ્વતીજીનું પ્રથમ પૂજન ભગવાન શ્રીકૃષ્ણએ કર્યું હતું. સરસ્વતી દેવીનાં ગુજરાતમાં જૂજ મંદિરો છે, જેમાંનું એક જૂનાગઢમાં આવેલું છે. વસંત પંચમીએ વિદ્વાનો દ્વારા માં સરસ્વતીજીનું પૂજન કરવામાં આવશે.
મહા સુદ પાંચમ- વસંત પંચમીના દિવસને ઋતુરાજ વસંતના આગમન તરીકે તેમજ માં સરસ્વતીજીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ, કલાકારો, સંગીતકારો દ્વારા પોતપોતાનાં વાદ્યો તેમજ પુસ્તકોની પૂજા કરવામાં આવે છે. આ તહેવારમાં સમૃદ્ધિ, પ્રકાશ, ઉર્જાનાં પ્રતીક પીળા રંગને મહત્વનો માનવામાં આવે છે. સરસ્વતી દેવીને વિદ્યા, હિન્દુ વિચાર તથા સંસ્કૃતિનો પાયો ગણવામાં આવે છે. શરૂઆતમાં નદી સ્વરૂપે પૂજા થઈ પરંતુ સમય જતા સરસ્વતી દેવી વિદ્યા, વાણી, પ્રજ્ઞાા અને કલાના અધિષ્ઠાત્રી દેવી બન્યા. સરસ્વતીજીના ઉલ્લેખ ઋગવેદ, યજુર્વેદ અને અથર્વવેદમાંથી મળે છે. અથર્વ વેદમાં તો જંતુઓનો નાશ કરવા માટે સરસ્વતીજીની પૂજા કરવામાં આવી છે. સરસ્વતીજીની ઉત્પતિ મહાલક્ષ્મીથી થયાનું માર્કંડેય પુરાણ કહે છે. વાણીના અધિષ્ઠાત્રી હોવાથી વાગ્વાદિની વાણી કહે છે. દેવી ભાગવતના ઉલ્લેખ મુજબ સરસ્વતીજીનું પ્રથમ પૂજન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું હતું.
દિવાને સ્થાપેલું મંદિર, રજવાડા સમયે રવાડી નીકળતી
સિધ્ધપુર ઉપરાંત જૂનાગઢના ભૂતનાથ મહાદેવની સામેની જગ્યામાં સરસ્વતીજીનું મંદિર આવેલું છે. જૂનાગઢના દિવાન અમરજી કુંવરજી નાણાવટીના પુત્ર દિવાન રણછોડજીએ 1821માં આ મંદિર બનાવ્યું હતું, જ્યાં ત્રણ ફૂટ ઉંચી સરસ્વતીજીની મૂર્તિ છે. રાજાશાહી સમયમાં આ સ્થળે અશ્વિન સુદ છઠ્ઠ, સાતમ અને આઠમના મેળો ભરાતો હતો અને માતાજીની રવાડી નીકળી હતી. આવતીકાલે વસંત પંચમના દિવસે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે.
















