![]()
સોશિયલ મીડિયામાં લોભામણી પોસ્ટ મૂકી’તી
ચંદ્રાવાડાના યુવાન સાથે આઠ લાખની ઠગાઇ, રાણાવાવમાં ઓફિસ શરૂ કરનારા રાજકોટના ચાર શખ્સો સામે ગુનો
પોરબંદર: પોરબંદર પંથકના 14 જેટલા લોકોને વિદેશમાં સારા પગારે નોકરી અપાવવાની લાલચ આપીને રાજકોટના ચાર ઇસમોએ ઠગાઇ કરી હોવાનું કૌભાંડ પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં ચંદ્રાવાડા ગામના યુવાનને વિદેશ જવાની પ્રોસેસ માટે આઠ લાખ રૂપિયા મેળવી વીઝા પણ ન આપ્યા અને પૈસા પણ પરત ન કરતાં છેતરપિંડીની ફરિયાદ થઇ છે. તે ઉપરાંત અનેક લોકોના નાણાં ફસાયા હોવાનું જણાવાયું છે.
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામની પારૂવાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ સાથે ઇલેક્ટ્રીક અને પ્લમ્બીંગનું કામ કરતાં જયેશ ઉકાભાઇ મોઢવાડીયા (ઉ.વ.૩૩) નામના યુવાને રાજકોટમાં રહેતા ભરત રામજી વાઢેરે સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં કેનેડા જવા માટે ૧૨ લાખ ભરવાના અને ત્યારબાદ દોઢ લાખ પગાર આપવામાં આવશે તે જોઇ આ શખ્સની રાણાવાવની ઓફિસમાં સંપર્ક સાધ્યો હતો.
ભરત અને તેનો પુત્ર પુનિત વાઢેરે સ્વામિનારાયણ સંસ્થા મારફતે કેનેડાના ટોરેન્ટોમાં વિઝીટર વીઝા ઉપર મોકલતા હોવાનું જણાવ્યું હતું. જયેશને યુરોપના હંગ્રી દેશમાં જવાની લાલચ આપી પ્રથમ ૬૫ હજાર રોકડા, બાદમાં દોઢ લાખ મેળવ્યા. આઠ મહિના સુધી વીઝા ન આવતા ફરિયાદીએ પૂછતાં હંગ્રીના બદલે ફ્રાન્સ મોકલવાનું જણાવ્યું. પરંતુ તેના વીઝા પણ ન આવ્યા. અંતે રાજકોટ નવાગામ મેઇન બજારમાં નીલમાધવ ફેશન હબ નામની કપડાની દુકાનમાં ભરતની ઓફિસે સંપર્ક સાધ્યો ત્યાં ભરતનો માણસ કૌશિક રજનીકાંત પટેલ અને તેનો પુત્ર દેવરસ હાજર હતા અને તેઓએ પણ ઇન્ટરવ્યુ વગર ઓસ્ટ્રેલીયાની સફરની લાલચ આપી પાંચ લાખ ૮૫ હજાર ખંખેર્યા, બાદમાં પટ્ટીવાળી વીઝા મોકલી અને ચારેચારના ફોન બંધ આવતાં અને ઓફિસ પણ બંધ રહેતા રાજકોટના આ ચારેય શખ્સો સામે જયેશે કિર્તિમંદિર પોલીસ મથકમાં આઠ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરાવ્યો છે.
અન્ય લોકોના રૂપિયા પણ ફસાયા
ફરિયાદી જયેશના ફઇના દીકરી આશાબેન કેશવભાઇ ઓડેદરા, રતનપરના અનિલ રાજશી ઓડેદરા, મનોજ લખમણ ઓડેદરા, કુછડીના સંજય દુલા કાછડીયા, વિસાવાડામાં રહેતા જેઠા કેશવાલા, અશોક ખીમા કેશવાલા, બખરલાના ભારતીબેન રાજુ ખુંટી, ખાપટના દેવશી ટપુ ખુંટી, જામરાવલના સુરેશ રામાભાઇ ગામી, પોરબંદરના અશોક બાબુ ચૌહાણ તથા બીજા અન્ય લોકોએ પણ વિદેશ જવા માટે રૂપિયા આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે આંકડો જાહેર કરાયો નથી.















