![]()
શહેરના ઉત્તર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કેમિકલ જેવી તીવ્ર દુર્ગંધથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં લોકો ગૂંગળામણ અનુભવી રહ્યા છે તેમજ આંખોમાં બળતરા થવાની ફરિયાદો સામે આવી છે.
છેલ્લા દસ દિવસથી નંદેસરી, બાજવા, છાણી, ગોરવા, સુભાનપુરા, ટીપી-૧૩, સમા અને નિઝામપુરા સહિતના વિસ્તારોમાંથી કેમિકલ જેવી તીવ્ર ગંધ અંગે ફરિયાદો ઉઠી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તાનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને માર્ચથી મે મહિના દરમિયાન વડોદરામાં વાપી અને અંકલેશ્વર જેવી ઔદ્યોગિક ગંધ અનુભવાય છે. આ ગંધ મુખ્યત્વે નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરફથી આવતી હોવાની શંકા છે. અગાઉ પણ જીપીસીબીમાં ફરિયાદ કરતા થોડા સમય માટે દુર્ગંધ બંધ થઈ જાય છે, પરંતુ ત્યારબાદ ફરી સ્થિતિ યથાવત બની જાય છે.
હતુંકે, વધુમાં જણાવ્યું હતું કે, નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી મોટા પાયે પ્રદૂષણ ફેલાતું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે. વડોદરા શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનું પ્રમાણ અવારનવાર ચિંતાજનક સ્તરે પહોંચે છે અને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ ઝોનમાં રહેતું હોવાનું પણ જણાવાયું છે. તાપમાન વધતા અને કેમિકલ હવામાં ભળતા લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કોર્પોરેશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક પગલા નહીં લેવાય તો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સામે પણ પગલાં ભરીશું તેવી ચીમકી આપી છે.















