![]()
– નડિયાદ મહાનગરપાલિકાનો ‘ટેક્સ વિવાદ’ ઉકેલાયો
– મનપાની રચના સમયે ખાતરી અપાઈ હતી કે, 3 વર્ષ સુધી પ્રજા પર કોઈ નવો કરબોજ નાખવામાં આવશે નહીં
નડિયાદ : નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પેરીફરી વિસ્તારની મિલકતો પર લાદવામાં આવેલા નવા ટેક્સ સામે ભારે વિરોધ સર્જાયો હતો. રાજ્ય સરકારે અગાઉ ૩ વર્ષ સુધી કોઈ નવો ટેક્સ ન નાખવાની જાહેરાત કરી હોવા છતાં અધિકારીઓએ નિયમોનું મનઘડત અર્થઘટન કરી વેરો વસૂલવાનું શરૂ કર્યું હતું. આ મામલે નાગરિકો અને વેપારીઓના રોષને જોતા, અંતે સરકારે મધ્યસ્થી કરી ૩ વર્ષ સુધી માત્ર જૂના દર મુજબ જ ટેક્સ વસૂલવાની સ્પષ્ટ સૂચના આપી છે.
છેલ્લા એક અઠવાડિયાથી નડિયાદ શહેરની ફરતે આવેલા પેરીફરી વિસ્તારના મિલકત ધારકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી કે, કોર્ર્પોરેશન દ્વારા નવી આકારણી કરીને તોતિંગ ટેક્સના બિલો આપવામાં આવ્યા છે. આ બાબત ધ્યાન પર આવતા નડિયાદના ધારાસભ્યએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી સાથે બેઠક કરી હતી. તેમણે સરકારમાં રજૂઆત કરી હતી કે, કોર્ર્પોેેરેશનની જાહેરાત થઈ ત્યારે હાઉસમાં જ ખાતરી આપવામાં આવી હતી કે, ૩ વર્ષ સુધી પ્રજા પર કોઈ નવો બોજ નાખવામાં આવશે નહીં. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી અને મંત્રીએ ત્વરિત નિર્ણય લઈ અધિકારીઓને આદેશ કર્યા છે કે, હાલમાં જે નવી આકારણી મુજબ ટેક્સ નાખ્યો છે તે રદ કરવામાં આવે અને ૩ વર્ષ સુધી જૂની પદ્ધતિ મુજબ જ વેરો લેવામાં આવે. આ સમગ્ર પ્રકરણમાં અધિકારીઓ દ્વારા મેઝરમેન્ટ કરી કોર્પોેરેશનના સ્ક્વેર ફૂટ કે મીટરના ભાવ મુજબ આકારણી કરી દેવામાં આવી હતી જે ખોટું હતું. સરકારના આદેશ બાદ હવે પેરીફરી વિસ્તારના એકમોએ જૂનો ટેક્સ જ ભરવાનો રહેશે. આ ઉપરાંત જે લોકોએ ડરના માર્યા કે જાણકારીના અભાવે નવો વધારેલો ટેક્સ ભરી દીધો છે, તેવા મિલકત ધારકોને તેમના પૈસા પરત મળે અથવા તો આગામી બિલોમાં જમા મળે તે માટે કમિશનર અને વહીવટદારને રજૂઆત કરવામાં આવશે, તેમ પણ ધારાસભ્યએ જણાવ્યું છે.















