![]()
છેવાડાના મુસાફરોની જરૃરિયાતને સમજ એસ.ટી. તંત્રનો નિર્ણય
વિદ્યાર્થીઓ કોઈપણ સમયે પાસ કઢાવી શકશે, રિઝર્વેશન માટે ટેકનિકલ માર્ગદર્શન મળી રહેશે
ભાવનગર – ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા છેડાવાના મુસાફરોની સુવિધા માટે સિહોર સ્થિત કંટ્રોલ પોઈન્ટના સમયમાં ધરખમ વધારો કરાયો છે. આ કંટ્રોલ પોઈન્ટ હવેથી ૧૬ કલાક સુધી શરૃ રહેશે.
સિહોરમાં એસ.ટી.નો કંટ્રોલ પોઈન્ટ અગાઉ સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી જ કાર્યરત રહેતો હતો. જે માત્ર સરકારી કચેરીના સમય જેવો જ સીમિત હતો. પરંતુ એસ.ટી.માં મુસાફરોનો પ્રવાહ વહેલી સવાર અને મોડી રાત્રે વધુ રહેતો હોવાથી ભાવનગર વિભાગીય નિયામક આર.ડી. પીલવાઈકરે મુસાફરોની સુખાકારી અને સવલત માટે સિહોર કંટ્રોલ પોઈન્ટને વહેલી સવારે ૬થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી શરૃ રાખવા નિર્ણય લીધો છે. જેથી અધિકારીઓ અને સ્ટાફ હવે ૧૬ કલાક હાજર રહેશે. જેના કારણે વિદ્યાર્થીઓ હવે કોઈપણ સમયે બસપાસ કઢાવી શકશે. સાથે મુસાફરોને જો રિઝર્વેશનમાં કોઈ મુશ્કેલી પડે તો તેમને રાત્રિના ૧૦ વાગ્યા સુધી સ્થળ પર જ ટેકનિકલ માર્ગદર્શન મળી રહેશે. સમયમાં વધારો થતાં એકલા મુસાફરી કરતા મહિલાઓને સલામતીનો અહેસાસ થશે. તેમજ સ્થાનિક કનેક્ટિવિટી માટેની પૂછપરછ ઉપલબ્ધ થતાં મુસાફરોને ખાનગી વાહનોમાં મોંઘા ભાડા ખર્ચવાની જરૃર ન પડતા એસ.ટી.ને પણ આવકમાં વૃદ્ધિ થવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે.















