![]()
Vadodara : વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર–48 નજીક આવેલા સુંદરપુરા ગામ પાસેના ઓર્નેટ વિલા કોમ્પ્લેક્સમાં થયેલી સલૂન કારીગરની હત્યાની ઘટના ઘટી હતી. 37 વર્ષીય મિતેશકુમાર રમણભાઈ વાણંદની ગઈ 14 માર્ચના રોજ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્દય હત્યા કરવામાં આવી હતી.
મૃતક મિતેશના માતા-પિતા હયાત નથી અને તેમની મોટી બહેન મીનાક્ષી વાળંદે આ મામલે કિરણ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મિતેશ સાથે કામ કરતા અજય લીમ્બાચીયાએ જણાવ્યું હતું કે, ઘટના દિવસે સાંજે લગભગ 5 વાગ્યે તે કોમ્પ્લેક્સમાં જ ઠંડુ પીણું પી રહ્યો હતો. તે દરમિયાન બાજુમાં કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈ જશુભાઈ ચાવડા અચાનક હેર સલૂનમાં ઘૂસી ગયા હતા.
અગાઉ દુકાનની બહાર સામાન મૂકવાની બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી.
અજય દુકાન તરફ દોડી ગયો ત્યારે કિરણ ચાવડા ઝડપથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ ઘાયલ મિતેશે જણાવ્યું કે તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે.
આ ઘટનાના અનુસંધાને કપુરાઈ પોલીસે 16 માર્ચના રોજ આરોપી કિરણ ચાવડાને કપુરાઈ બ્રિજ નજીકથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં હુમલામાં ઉપયોગમાં લેવાયેલ ચાકુ પણ કબજે કરવામાં આવ્યું છે.
આવતીકાલે 20 માર્ચે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.















