નાના શહેરો-ગ્રામ્યમાં ઉત્સાહ, મહાનગરોના મતદારોમાં નિરૂત્સાહ : નવી મહાપાલિકામાં મોરબીમાં ઉત્સાહી 65.62 ટકા,પોરબંદરમાં માત્ર 48.51 ટકા, ટંકારા સુધરાઈનું સૌથી વધુ 81 ટકા, ગોંડલમાં લોકો નારાજ-નિરાશ, માત્ર 48.51 ટકા
રાજકોટ, : આજે સમગ્ર રાજ્યની સાથે સૌરાષ્ટ્રના રાજકોટ,મોરબી, જામનગર, જુનાગઢ, દ્વારકા, પોરબંદર, સોમનાથ અને અમરેલી એ 8 જિલ્લાની 8 જિલ્લા પંચાયતો, રાજકોટ સહિત 4 મહાનગરપાલિકા, 18 નગરપાલિકા, 55 તાલુકા પંચાયતોનું મતદાન યોજાયું હતું જેમાં 5575 ઉમેદવારો ઉભા હતા અને કૂલ 73,27,588 મતદારોને મતાધિકાર હતો. મતદાનના પ્રાપ્ત આંકડા મૂજબ એક નોંધપાત્ર તારણ એ નીકળ્યું હતું કે 18 નગરપાલિકાઓમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું જ્યારે 8 જિલ્લા પંચાયતોમાં સરેરાશ 61.90 ટકા મતદાન થયું હતું. પરંતુ, 4 મહાનગરોમાં સરેરાશ માત્ર 55.89 મતદાન થયું છે. ગરમી તો સૌરાષ્ટ્રમાં સર્વત્ર હતી, લગ્નગાળો અને વેકેશન પણ હતા પરંતુ, મતદાનના આંકડામાં ભારે વિષમતા એટલે કે ક્યાંક સાવ નિરસ,કંગાળ તો ક્યાંક 80 ટકાને પાર થયું છે.
સિરામીક હબ એવા મોરબી મહાપાલિકા બન્યા પછી આજે પ્રથમવાર મતદાનમાં લોકોએ ઉત્સાહપૂર્વક 65.62 ટકા મતદાન કર્યું હતું. ંમોરબી ગ્રામ્યમાં એટલે કે જિ.પં.માં પણ સર્વાધિક 71 ટકા મતદાન થયું છે તેમજ આ જિલ્લાની 5 તાલુકા પંચાયતમાં પણ સરેરાશ 70 ટકાનું ઉત્સાહી મતદાન છે.
પરંતુ, બીજી તરફ નવી મહાપાલિકા એવા પોરબંદરમાં સૌથી ઓછું 48.51 ટકા મતદાન થયું છે. રાજ્યમાં ગત વર્ષોમાં અન્ય મ્યુનિ.કોર્પો.ની સાપેક્ષે જામનગર મહાનગરપાલિકામાં વધુ મતદાન થતું રહ્યું છે. આજે પણ ત્યાં 57.84 ટકા મત પડયા હતા.
સૌરાષ્ટ્રમાં કૂલ 22 શહેરોમાં 24 લાખ શહેરી મતદારો છે જેમાં માત્ર રાજકોટમાં 9.85 લાખ મતદારો છે. પરંતુ, રાજકોટ મનપામાં માત્ર 51.60 ટકા મતદાન માંડ થયું છે ત્યારે રાજકોટના જ ગ્રામ્ય વિસ્તાર એટલે કે રાજકોટ જિ.પં.માં ગત ચૂંટણીમાં 63.47 ટકા મતદાન વધીને આ વખતે 68.98 ટકાએ પહોંચ્યું છે. આમ, રાજકોટ મહાનગર પાલિકા કરતા જિલ્લા પંચાયતનું મતદાન 10 ટકા વધારે રહ્યું છે જે શહેરી મતદારોમાં નેતાઓ પ્રત્યેની નિરાશા સૂચવે છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય સભાઓમાં પણ મનપામાં પ્રશ્નો ટલ્લે ચડાવાય છે ત્યારે જિ.પં.ની સામાન્ય સભામાં પક્ષ-વિપક્ષ બન્ને પ્રશ્નો ચર્ચવામાં રસ લેતા હોય છે.
એક તરફ 18 નગરપાલિકાના 6,32,799 મતદારોમાં એકંદરે ઉત્સાહ જોવા મળ્યો અને આ 18 સુધરાઈનું સરેરાશ મતદાન 65 ટકા થયું છે. તેમાં પણ પ્રથમવાર સુધરાઈ બન્યા પછી ટંકારામાં પહેલી ચૂંટણી હતી જ્યાં સૌથી વધારે 81,27 ટકા મતદાન થયું છે તો સૂત્રાપાડામાં 81.07 ટકા મતદાન થયું છે. ધારી નગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણીમાં 62.95 ટકા મતદાન થયું છે.
નગરપાલિકાઓમાં અમરેલી, બગસરા, દામનગર, વાંકાનેર, કેશોદમાં 53થી 60 ટકાનું નોંધપાત્ર મતદાન, ખંભાળિયા, જામરાવલ, વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, ઉના, માળિયામીયાણા, બાબરા, ધારી વગેરેમાં 60 ટકાથી વધુ મતદાન રહ્યું ત્યારે એક માત્ર ગોંડલમાં માથાભારે તત્વોની વારંવાર ફરિયાદો વચ્ચે ત્યાં તદ્દન સુસ્ત 48.51 ટકા મતદાન થયુ છે. અમરેલી અને પોરબંદર જિલ્લા પંચાયતમાં પણ પાંખુ મતદાન અનુક્રમે 52.95 ટકા અને 50.83 ટકા થયું છે. જ્યારે જામનગર, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં 60 ટકા કરતા વધુ મતદાનનું વલણ આ ચૂંટણીમાં પણ જળવાયું છે.















