![]()
પડધરી પંથકમાં છ દિવસ પહેલાં થયેલી હત્યામાં ખુલાસો
હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓને મદદગારી કરનાર શખ્સો અંગે તપાસ, અમુકની પૂછપરછ
રાજકોટ: પડધરી પંથકમાં તરૂણી પર દૂષ્કર્મ ગુજાર્યા બાદ તેના સંબંધી યુવરાજસિંહની હત્યામાં ધરપકડ કરાયેલા બે આરોપીઓ મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાને મદદગારી કરનાર આરોપી પૃથ્વીરાજસિંહ હર્ષદસિંહ જાડેજા (ઉ.વ.ર૯, રહે. ખાખડાબેલા, તા. પડધરી)ની પડધરી પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ જારી રાખી છે.
પોલીસ તપાસમાં એવુ ખુલ્યું છે કે આરોપી પૃથ્વીરાજસિંહે જ હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓને મૃતકની કારના નંબર આપ્યા હતા. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પૃથ્વીરાજસિંહ અગાઉ પકડાયેલા આરોપી મહેન્દ્રસિંહનો કૌટુંબિક ભાઈ છે. આ કેસમાં બીજા કયા કયા આરોપીઓએ મદદગારી કરી હતી તે અંગે પોલીસે તપાસ જારી રાખી છે.
મદદગારીમાં વધુ આરોપીઓની સંડોવણી ખુલે તેવી શકયતા નકારાતી નથી. હાલ કેટલાક શખ્સોની પોલીસે પુછપરછ જારી રાખી છે. આરોપીઓએ હત્યામાં ગાંધીધામના કાના આહિરની બ્રેઝા કારનો ઉપયોગ કર્યો હતો. જે કાર અન્ય એક શખ્સને વચ્ચે રાખી મેળવાઈ હતી. જેથી તે શખ્સ અને કાના આહિરની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આરોપીઓએ ફરાર રહ્યાના સમય દરમિયાન કોની-કોની પાસેથી પૈસા મંગાવ્યા હતા તે મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને એવી માહિતી પણ મળી છે કે આરોપીઓને દૂષ્કર્મ-પોકસોના કેસમાં સજા પડે તેવો અંદેશો હતો. આ સ્થિતિમાં કોઈપણ ભોગે સમાધાન કરવા માગતા હતા. પરંતુ યુવરાજસિંહ સમાધાન કરતા ન હોવાથી આખરે તેની હત્યા કરી નાખી હતી.















