![]()
– ભક્તોએ ચાર પ્રહરની પૂજાનો લાભ લીધો
– શહેરની સ્થાપના સમયના જાગનાથ મંદિરે 800 લિટર ભાંગનો પ્રસાદ 3 હજારથી વધુ ભક્તોને વિતરણ કરાયા
ધ્રાંગધ્રા : મહાવદ અમાસના પાવન પર્વ મહાશિવરાત્રિ નિમિત્તે સમગ્ર દેશ સાથે ધ્રાંગધ્રા શહેરમાં પણ ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્રાંગધ્રા શહેરના દેપાળાના ચોરા વિસ્તારમાં આવેલ પ્રાચીન જાગનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું.
એક માન્યતા મુજબ ધ્રાંગધ્રા શહેરમાં વસવાટ શરૂ થયો ત્યારથી જ જાગનાથ મહાદેવ મંદિર સ્થાપિત છે અને તે અત્યંત પૌરાણિક મહત્વ ધરાવે છે. દર વર્ષે શિવરાત્રિ તેમજ શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ ધામક કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે શિવરાત્રિના પર્વ નિમિત્તે અંદાજે ૮૦૦ લીટર ભાંગનો પ્રસાદ તૈયાર કરી મંડળના સેવકો દ્વારા અંદાજે ૩૦૦૦ થી વધુ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો હતો. જ્યારે મધ્યાહન સમયે યોજાયેલ મહાદેવની મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. હર-હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસર શિવમય બની ગયું હતું. શહેરના અન્ય તમામ શિવ મંદિરોમાં પણ દિવસભર પૂજા-અર્ચના, અભિષેક અને આરતીના કાર્યક્રમો યોજાયા હતા તેમજ શ્રદ્ધાળુઓએ ઉપવાસ રાખી અને ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની આરાધના કરી હતી.
















