![]()
Strait of Hormuz Drone Attack: 7-8 મેની રાત્રે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર થયેલા ડ્રોન હુમલા અંગે મહત્વના અપડેટ્સ સામે આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતા કાર્ગો જહાજ ‘અલ ફૈઝ નૂર સુલેમાની’ પર થયેલા હુમલા અંગે ખાનગી ચેનલ સાથે વાત કરતા ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ભારતીય જહાજ ‘અલ ફૈઝ નૂર સુલેમાની’ દુબઈથી યમન જઈ રહ્યું હતું. 07-08 મે 2026ની મધ્યરાત્રિએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે પહોંચતી વખતે તે ‘ક્રોસફાયર’માં ફસાઈ ગયું હતું. આ હુમલો કોણે કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
જહાજ પર 18 ક્રૂ મેમ્બર્સ હતા
ઉપલબ્ધ માહિતી મુજબ, 7-8 મેની મધ્યરાત્રિએ ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 2.30 વાગ્યે એક ડ્રોન દ્વારા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે રાત્રે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અનેક હુમલા અને વળતા હુમલા થઈ રહ્યા હતા, કારણ કે તે સમયે 3 અમેરિકન યુદ્ધ જહાજો આ સ્ટ્રેટ પસાર કરી રહ્યા હતા. હુમલા સમયે જહાજ પર 18 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ હુમલામાં ભારતીય નાવિક અલ્તાફ તલાબ કેરનું મોત થયું હતું, જ્યારે 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હતા. તમામ 4 ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ હોસ્પિટલમાં છે. એક ભારતીય ક્રૂ મેમ્બરનો હાથ ભાંગી ગયો છે, બીજાને દાઢી પર કોઈ તીક્ષ્ણ વસ્તુ વાગી છે, જ્યારે અન્ય બે સભ્યો નજીવી રીતે દાઝી ગયા છે.
પીડિત પરિવારને જાણ કરવામાં આવી
મૃત્યુ પામનાર નાવિક ગુજરાતના દ્વારકાના જામ સલાયા વિસ્તારના રહેવાસી છે. તેમના પત્ની આજે દ્વારકા પહોંચ્યા હતા. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી એડમ ભાયાએ જણાવ્યું કે અમે ભારતીય વાણિજ્ય દૂતાવાસને પત્ર લખીને મૃતક નાવિકના અંતિમ સંસ્કાર સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મદદ માંગી છે. પીડિત પરિવાર નક્કી કરશે કે તેઓ દુબઈમાં અંતિમ સંસ્કાર કરવા માંગે છે કે મૃતદેહને ભારત પરત લાવવા માંગે છે.
11 ભારતીય જહાજો હોર્મુઝની બહાર નીકળ્યા
અગાઉ ગુરુવારે, વિદેશ મંત્રાલય (MEA)ના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે 11 ભારતીય જહાજો હોર્મુઝની બહાર નીકળી ગયા છે, જ્યારે 13 જહાજો હજુ પણ ફારસની ખાડીમાં મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. શું ઈરાની જહાજો અમેરિકનં નાકાબંધીથી બચવા માટે પાકિસ્તાની દરિયાઈ સીમા અને ત્યારબાદ ભારતીય દરિયાઈ સીમામાંથી પસાર થઈ શકે છે, અને શું આવું કરવા માટે ભારતીય સત્તાધીશો પાસેથી વિશેષ પરવાનગી લેવાની જરૂર છે. જેના જવાબમાં જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘તે રિપોર્ટ્સના સંબંધમાં કે ઈરાની જહાજો નાકાબંધીથી બચવા માટે ભારતીય દરિયાઈ સીમામાંથી પસાર થઈ શકે છે જો અન્ય દેશોના જહાજો આંતરરાષ્ટ્રીય જળસીમામાં મુસાફરી કરવા માંગતા હોય, તો કોઈ પરવાનગીની જરૂર હોતી નથી. જો કે ભારતીય જળસીમામાં પ્રવેશવાના સવાલ માટે, આ એક ટેકનિકલ મુદ્દો છે જેનો જવાબ શિપિંગ મંત્રાલય અથવા સંબંધિત ટેકનિકલ અધિકારીઓએ આપવો પડશે.’















