Rahul Gandhi On NEET Paper Leak : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ NEET-UG 2026 પેપર લીક થયા બાદ બે વિદ્યાર્થીઓની કથિત આત્મહત્યા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ભાજપ સરકારના રાજમાં ચોરી કરનારાઓને ઇનામ મળે છે અને પરીક્ષા આપનારા બાળકો જીવ ગુમાવે છે. દેશમાં છેલ્લા 12 વર્ષમાં કેટલા પરીક્ષા કૌભાંડો થયા, કેટલાની ધરપકડ થઈ, તેના આંકડા પણ રાહુલ ગાંધીએ શેર કર્યા છે.
રાહુલે વડાપ્રધાન પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ લખીમપુર ખીરીના 21 વર્ષના ઋતિક મિશ્રા અને ગોવાના એક વિદ્યાર્થીની કથિત આત્મહત્યાનો ઉલ્લેખ કરીને પૂછ્યું છે કે, વડાપ્રધાનની જવાબદારી જગાડવા માટે હજુ કેટલા ઋતિકે જીવ આપવો પડશે? તેમણે કહ્યું કે, બાળકોના ભવિષ્ય સાથે રમત રમનારાઓએ જવાબ આપવો જ પડશે.
ભ્રષ્ટ તંત્રના કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યા : રાહુલ ગાંધીનો આક્ષેપ
કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘લખીમપુર ખીરીના 21 વર્ષના ઋતિક મિશ્રાના છેલ્લા શબ્દો હતા કે, હવે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી નથી. ત્રીજી વખત નીટની પરીક્ષા આપનારો ઋતિક પરીક્ષા રદ થવાના કારણે તૂટી ગયો. ગોવામાં પણ એક નીટ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. આ બાળકો પરીક્ષાથી હાર્યા નથી, પરંતુ તેમને ભ્રષ્ટ તંત્રએ માર્યા છે. આ આત્મહત્યા નથી, આ તંત્ર દ્વારા હત્યા કરાઈ છે.’
‘148 કૌભાંડ, માત્ર એકને સજા’
રાહુલ ગાંધીએ પરીક્ષા કૌભાંડોનો ડેટા પણ શેર કર્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, ‘આંકડા જુઓ… 2015થી 2026 સુધીમાં 148 પરીક્ષા કૌભાંડો થયા, 87 પરીક્ષા રદ થઈ અને 9 કરોડ બાળકોના ભવિષ્ય પર અસર થઈ. 148 કૌભાંડોમાં માત્ર એકને જ સજા ફટકારવામાં આવી. CBIએ 17 કેસની અને EDએ 11 કેસની તપાસ કરી, પરંતુ કોઈને સજા ન આપી. NEET, AIPMT અને અન્ય મેડિકલ પરીક્ષાઓમાં 15 કૌભાંડો થયા.’
આ પણ વાંચો : NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા
‘જવાબદાર એક પણ અધિકારી કે મંત્રીએ રાજીનામું આપ્યું નથી’
તેમણે કહ્યું કે, ‘સૌથી શરમજનક વાત એ છે કે, કૌભાંડોમાં જવાબદાર એક પણ અધિકારી કે મંત્રીએ રાજીનામું આપ્યું નથી. આવા લોકોને હટાવવામાં આવે છે, પછી ચૂપચાપ મોટા પદ પર બેસાડી દેવામાં આવે છે. ચોરી કરનારાઓને ઇનામ મળે છે અને પરીક્ષા આપનારા બાળકો જીવ ગુમાવે છે.’ તેમણે PM મોદી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી… તમારી જવાબદારી જગાડવા માટે કેટલા ઋતિક જોઈએ?
21 જૂને ફરી પરીક્ષા યોજાશે
ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા પ્રક્રિયામાં કથિત ગેરરિતીના આરોપો સામે આવ્યા બાદ, હવે નીટ-યુજીની પરીક્ષા 21 જૂને ફરી યોજવામાં આવશે. અગાઉ પરીક્ષા ત્રીજી મેએ યોજાવાની હતી.
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
આ પેપર લીક કેસમાં CBIને મોટી સફળતા મળી છે. CBIએ આ મામલાના કિંગપિન એટલે કે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ પી.વી. કુલકર્ણી તરીકે થઈ છે, જે કેમિસ્ટ્રીનો લેક્ચરર છે અને NTAની પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલો હતો. CBI તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી પી.વી. કુલકર્ણી, જે મૂળ લાતૂરનો રહેવાસી છે, તે પુણેમાં કેમિસ્ટ્રી લેક્ચરર છે. તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વતી પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતો, જેના કારણે તેની પહોંચ સીધી પ્રશ્નપત્રો સુધી હતી.
આ પણ વાંચો : NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન















