વડોદરાઃ વધતા જતા વાહન અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીના અધ્યાપક ડો.ઉમંગ મોદીએ …લો રિલેટિંગ ટૂ રોડ સેફટી ઈન ઈન્ડિયા, વીથ રેફરન્સ ટૂ રાઈટસ બેઝ્ડ એપ્રોચ…વિષય પર પીએચડીના ભાગરુપે રોડ સેફટીને લગતો એક સર્વે હાથ ધર્યો હતો અને તેમાં વડોદરાના લગભગ ૧૦૦૦ લોકોના મંતવ્ય જાણ્યા હતા.જેમાં ૩૬ ટકા લોકોએ વાહન ચલાવતી વખતે સામે વળાંક હોવા છતા મોબાઈલ પર વાત કરતા હોવાનું તો ૨૨ ટકા લોકોએ રોંગ સાઈડથી ઓવરટેક કરતા હોવાનું સ્વીકાર્યું હતું.
ડો.ઉમંગ મોદીનું કહેવું છે કે,શહેરમાં રોડ સલામતી માટે હાલની વ્યવસ્થા પૂરતી નથી.ખરેખર તો રાઈટ ટૂ એજ્યુકેશનની જેમ રાઈટ ટૂ રોડ સેફટી લોકોનો મૂળભૂત અધિકાર હોવો જોઈએ.આ માટે રાઈટ ટૂ એજ્યુકેશન એકટની જેમ રાઈટ ટૂ સેફ મોબિલિટી એન્ડ રોડ સેફટી એકટ ..જેવો નવો કાયદો અમલમા મૂકવાની જરુર છે.
ડો.મોદીએ આ કાયદામાં શું જોગવાઈઓ હોવી જોઈએ તેનો એક ડ્રાફટ પણ તૈયાર કર્યો છે.તેમનું કહેવું છે કે, અત્યારે મોટર વ્હિકલ એકટ અમલમાં છે પણ તેનું ફોકસ દંડ વસૂલવા પર વધારે છે.ભારતમાં અત્યારે રોડ સેફટીની કોઈ ચોક્કસ વ્યાખ્યા જ નથી.મેં જે નવો કાયદો સૂચવ્યો છે તેમાં રોડ સેફટી માટે અલગ માળખું, દરેક શહેરમાં રોડ સેફટી ઓડિટ, રોડ સેફટી એસેસમેન્ટ, રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર, જવાબદારી નક્કી કરવા માટે વિશેષ કોર્ટ, એઆઈ આધારિત ટ્રાફિક મોનિટરિંગ જેવી વિવિધ જોગવાઈઓનો સમાવેશ થાય છે.
૮૩ ટકા લોકોના મતે રસ્તા સારા નથી
૭૫ ટકા લોકોને પગપાળા રોડ ક્રોસ કરવામાં ડર લાગે છે
૬૪ ટકા લોકો ક્યારેક હેલમેટ પહેરે છે અથવા પહેરતા નથી, ૧૯ ટકા સીટ બેલ્ટ બાંધતા નથી
–૮૦ ટકા લોકોએ કહ્યું હતું કે, રોડ સેફટીને બંધારણીય અધિકાર છે અને ૮૩ ટકાનું માનવું હતું કે, રોડ સેફટી સુનિશ્ચિત કરવાની સરકારની બંધારણીય ફરજ છે.
–૫૨ ટકાએ ટ્રાફિક નિયમો અંગે જાણકારી હોવાનું, ૨૯ ટકાએ કેટલાક અઁશે જાણકારી હોવાનું અને ૧૭ ટકાએ અજાણ હોવાનું કહ્યું હતું.૫૩ ટકાએ એમ પણ કહ્યું હતું કે, રોડ સેફટી માટે અત્યારે સરકાર જે પગલા લઈ રહી છે તે પૂરતા નથી.
–૫૨ ટકા લોકોએ મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે,રોડ સેફટી માટે સરકાર પૂરતા પ્રયત્નો નથી કરી રહી. ૮૦ ટકા શહેરીજનોએ સરકારના બજેટમાં રોડ સેફટીને પ્રાધાન્ય મળવું જોઈએ તેમ કહ્યું હતું.
–રોડ સેફટી માટે કઈ બાબતને પ્રાથમિકતા અપાવી જોઈએ તેવા સવાલના જવાબમાં ૩૦ ટકાએ ઈન્ફ્રાસ્ટ્રકચર, ૨૫ ટકાએ ટ્રાફિક કાયદાના અમલીકરણ, ૨૧ ટકા લોકોએ સરકારની જવાબદારીને પ્રાથમિકતા આપી હતી.
–૪૬ ટકા લોકોએ ક્યારેક બ્રિજ પર ઓવરટેક કરતા હોવાનું, ૪૭ ટકા લોકોએ જોખમી વળાક પર ક્યારેક અથવા તક મળે તો ઓવરટેક કરતા હોવાનું સ્વીકાર્યું હતું.૬૪ ટકા લોકો વાહન ચલાવતી વખતે હેલમેટ ક્યારેક પહેરે છે અથવા પહેરતા નથી તો ૧૮ ટકા લોકો સીટ બેલ્ટ બાંધતા નથી તેવું પણ તારણ નીકળ્યું હતું.
–૮૩ ટકાએ શહેરના રસ્તાઓની ગુણવત્તા સારી નહીં હોવાનું અને ૭૫ ટકાએ પગપાળા રસ્તો ક્રોસ કરતા ડર લાગતો હોવાનું કહ્યું હતું.
અકસ્માતો માત્ર દુર્ઘટના નથી, જવાબદારી પણ છે
ડો.મોદીનું કહેવું છે કે, પીએચડીનું તારણ છે કે, રોડ સલામતી વૈકલ્પિક નથી પણ તે મૂળભૂત અધિકાર છે.તંત્ર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં.અકસ્માતોને દુર્ઘટનાની જગ્યાએ જવાબદારી તરીકે જોવા પડશે.ખાડાના કારણે કે તૂટેલા રોડના કારણે અકસ્માત સર્જાય તો તે ચાલકનો જ નહીં પણ સરકારની પણ જવાબદારી છે.માટે જ સર્વેમાં ૮૬ ટકા લોકોએ જવાબદારી નક્કી કરવાની વાત કરી છે.
ખરાબ રસ્તા માટે એક પણ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થઈ નથી
અધ્યાપકનું કહેવું છે કે,૨૦૧૯માં સરકારે કાયદામાં સુધારો કર્યો હતો કે, ખરાબ રસ્તા હશે તો કોન્ટ્રાકટર સામે કાયદાકીય કાર્યવાહી થશે.અત્યાર સુધી આખા ભારતમાં એક પણ કિસ્સામાં કોન્ટ્રાકટર સામે કોઈ પણ જાતના પગલા ભરવામાં આવ્યા નથી.















