Delimitation Bill 2026 Explainer Modi Govt Plan: ભારતીય રાજકારણમાં હાલમાં સીમાંકન (Delimitation) બિલને લઈને ભારે ગરમાવો વ્યાપેલો છે. એપ્રિલ 2026માં સંસદમાં 54 મતથી ફગાવી ચૂકાયેલું આ બિલ ફરી એકવાર કેન્દ્ર સ્થાને આવ્યું છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી રાજકીય સમીકરણો ઝડપથી બદલાયા છે, જેનાથી ભાજપનું નેતૃત્વ ધરાવતી NDA છાવણીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક બળવો અને દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)નું ‘ઇન્ડિયા’ ગઠબંધનથી અલગ થવું, આ બે ઘટનાએ સંસદના ગણિતને સંપૂર્ણપણે રોમાંચક બનાવી દીધું છે, ત્યારે પ્રશ્ન એ થાય કે, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમીકરણોના આધારે સીમાંકન બિલ પસાર કરાવી શકશે ખરા?
સીમાંકન બિલ શું છે? તેનો મુખ્ય ઉદ્દેશ્ય કયો?
લોકસભાની બેઠકોની સંખ્યા વર્તમાન 543 થી વધારીને 850 (અથવા પ્રસ્તાવિત EAC-PM મોડેલ મુજબ 824) કરવાનો જે પ્રસ્તાવ મૂકાયો છે, તે છે ‘સીમાંકન બિલ’ એટલે કે ‘બંધારણ (131મો સુધારો) બિલ 2026’. આ ફેરફાર 2011ની વસ્તી ગણતરીના આધારે મત વિસ્તારોના પુનર્ગઠન દ્વારા કરાશે. આ બિલનો બીજો સૌથી મહત્ત્વનો હેતુ ‘નારી શક્તિ વંદન કાયદા’ હેઠળ મહિલાઓ માટે 33% અનામત તાત્કાલિક અસરથી લાગુ કરવાનો છે. એપ્રિલ 2026માં વિપક્ષ સહિત પ્રાદેશિક પક્ષો (તૃણમૂલ અને ડીએમકે)ના સખત વિરોધને કારણે આ બિલ પસાર થઈ શક્યું ન હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે.
સંસદમાં બિલ પસાર કરવા માટે ‘વિશેષ બહુમતી’ જરૂરી
આ એક બંધારણીય સુધારો હોવાથી તેને પસાર કરવા માટે સામાન્ય બહુમતી પૂરતી નથી. કલમ 368 હેઠળ ‘વિશેષ બહુમતી’ની જરૂર પડે છે, જેમાં બે મુખ્ય શરતો છે.
– ગૃહના કુલ સભ્યોની સ્પષ્ટ બહુમતી. (બિલની તરફેણમાં લોકસભામાં ઓછામાં ઓછા 272 મત અને રાજ્યસભામાં 123 મત જરૂરી)
– મતદાન કરનારા સભ્યોની બે તૃતીયાંશ (2/3) બહુમતી.
હાલ લોકસભામાં 3 બેઠકો ખાલી હોવાથી અસરકારક સંખ્યા 540 છે. તેથી બિલ પસાર કરવા માટે 360 મતોની જરૂર છે. બીજી તરફ, રાજ્યસભામાં કુલ 245 સભ્યોમાંથી બે તૃતીયાંશ બહુમતી માટે 164 મતોની જરૂર છે.
લોકસભાનું વર્તમાન સંખ્યાબળ, એનડીએ ક્યાં સુધી પહોંચી શકે?
લોકસભામાં બિલ પસાર કરાવવા માટે એનડીએનો આખો દારોમદાર પક્ષપલટો કરનારા બળવાખોર સાંસદો પર ટકેલો છે.
1. નિશ્ચિત સમર્થન: હાલ એનડીએમાં 293 સાંસદો છે, જેમાં ભાજપના 240, ટીડીપીના 16, જેડીયુના 12 અને અન્ય સાથી પક્ષો સામેલ છે.
2. તૃણમૂલમાં બળવો: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના દાવા મુજબ, પક્ષના 29 માંથી 20 સાંસદો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. જો આ 20 સાંસદો સરકારને ટેકો આપે, તો એનડીએની સંખ્યા 313 પર પહોંચે છે.
3. ડીએમકે અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ની સ્થિતિ: ડીએમકે ભલે ‘ઈન્ડિયા’ ગઠબંધનમાંથી બહાર થઈ ગયું હોય, પણ તેના 22 સાંસદો સૈદ્ધાંતિક રીતે હજુ પણ આ બિલના વિરોધમાં છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) ના 9માંથી 6 સાંસદો તૂટવાની અટકળો હતી, પણ હજુ સુધી તેમનો ટેકો નિશ્ચિત નથી.
4. 12 મતોની ઘટ: એપ્રિલમાં જોડાયેલા 5 સાંસદો અને બળવાખોર તૃણમૂલના મતો ઉમેરતા સરકાર માંડ 348 સુધી પહોંચી શકે છે, જે હજુ પણ 360 ના જાદુઈ આંકડાથી 12 મત દૂર છે.
જો સરકારને તૃણમૂલના 20 અને ડીએમકેના 22 સાંસદોનો સંપૂર્ણ ટેકો મળી જાય (જે મુશ્કેલ લાગે છે), તો પણ 360 સુધી પહોંચવા માટે વધારાના 20 મતની જરૂર પડશે. અલબત્ત, વિપક્ષના અથવા અન્ય પક્ષોના સાંસદો ગૃહમાં ગેરહાજર રહે અથવા મતદાન ન કરે, તો ‘મતદાન કરનારા સભ્યોની સંખ્યા’ ઘટી જાય. જો મતદાન કરનારા ઘટે તો 2/3 બહુમતીનો આંકડો પણ 360 કરતાં નીચે આવી જાય. જો આમ થાય તો એનો સીધો ફાયદો કેન્દ્ર સરકારને થાય.
રાજ્યસભાની સ્થિતિ: 18 જૂનની ચૂંટણી પર નજર
રાજ્યસભામાં હાલમાં NDA પાસે 149 સાંસદો છે, જ્યારે બહુમતી માટે 164 મતો જોઈએ. 18 જૂન, 2026 ના રોજ 10 રાજ્યોની 25 બેઠકો માટે પેટાચૂંટણી થવાની છે. આ ચૂંટણી પછી NDA ની તાકાત ચોક્કસ વધશે, છતાં સંપૂર્ણ બહુમતી માટે હજુ પણ લગભગ 15 વધારાની બેઠકોનું સેટિંગ કરવું પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો લોકસભા અને રાજ્યસભા બંનેમાં આંકડા પૂરતા થઈ જશે, તો સરકાર જુલાઈના બીજા સપ્તાહમાં શરૂ થનારા ચોમાસુ સત્ર પહેલાં જ એક ખાસ સત્ર બોલાવીને બિલ પસાર કરાવી શકે છે.
EAC-PM નું નવું મોડેલ: 170 મોટી બેઠકોનું વિભાજન
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ એટલે કે ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઈમ મિનિસ્ટર (EAC-PM) ના સભ્યો શમિકા રવિ અને મુદિત કપૂર દ્વારા આ સીમાંકન માટે એક નવું મોડલ તૈયાર કરાયું છે. આ પ્રસ્તાવ મુજબ, દેશના તમામ મતવિસ્તારોને બદલવાને બદલે માત્ર 170 મોટા લોકસભા મતવિસ્તારોનું વિભાજન કરીને કુલ બેઠકોની સંખ્યા 824 કરી શકાય તેમ છે.
– વિભાજનની ફોર્મ્યુલા: 111 બેઠકોને 3 ભાગમાં અને 59 બેઠકોને 2 ભાગમાં વહેંચાશે. એટલે કે 111 x 3 = 333 થશે, અને 59 x 2 = 118 થશે. આમ, 170 બેઠકો વિભાજન પામીને 451 થઈ જશે. જ્યારે બાકીની 373 બેઠકો (543 – 170 = 373)માં કોઈ ફેરફાર નહીં થાય. જેને લીધે આખરે લોકસભાની કુલ ક્ષમતા 373 + 451 = 824 બેઠકોની થઈ જશે. આ ફોર્મ્યુલાથી સીમાંકનનું કામ ખૂબ જ સરળતાથી પૂરું કરી શકાશે.
– ફાયદો: આ મોડેલથી મહિલાઓને 33% અનામત પણ સરળતાથી આપી શકાશે અને વર્ષ 2029 ની સામાન્ય ચૂંટણીઓમાં મતદાનમાં 0.3% થી 2.3% નો વધારો જોવા મળી શકે છે, જે આશરે 90 લાખથી 2.3 કરોડ નવા મતદારો ઉમેરશે.
સીમાંકન બાદ કયા રાજ્યમાં કેટલી બેઠકો વધશે?
EAC-PM ના મોડેલ મુજબ બે ભાગમાં વહેંચાનારી 59 બેઠકોમાંથી 22 બેઠકો માત્ર કેરળ અને તમિલનાડુની છે, જ્યારે ઉત્તર પ્રદેશની 20, મહારાષ્ટ્રની 12, બિહારની 10 અને પશ્ચિમ બંગાળની 10 બેઠકોને 3 ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ છે.

બિલ પસાર કરવા આડેના 4 મુખ્ય પડકારો
એનડીએ માટે આ રસ્તો બિલકુલ સરળ નથી કારણ કે, તેમાં ઘણાં રાજકીય અવરોધો છે.
1. પડકાર 1: સત્તાવાર સમર્થનનો અભાવ
બળવાખોર તૃણમૂલ સાંસદોએ લોકસભા સ્પીકર પાસે તેમના માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે, તેમણે હજુ સુધી કેન્દ્ર સરકારને ‘બિનશરતી કે ઔપચારિક ટેકો’ જાહેર કર્યો નથી.
2. પડકાર 2: દક્ષિણના રાજ્યોનો આક્રોશ
તમિલનાડુ (ડીએમકે), કેરળ, તેલંગાણા અને કર્ણાટક આ બિલનો સખત વિરોધ કરી રહ્યા છે. તેમનો તર્ક છે કે છેલ્લા દાયકાઓમાં તેમણે વસ્તી નિયંત્રણમાં સારું કામ કર્યું હોવાથી જો સીમાંકન વસ્તી આધારિત થશે તો તેમની બેઠકોની સંખ્યા અને રાજકીય વર્ચસ્વ ઘટી જશે અને ઉત્તર ભારતનું પ્રભુત્વ વધી જશે. કેન્દ્ર સરકારે તેમને આશ્વાસન આપ્યું છે કે સીમાંકન વસ્તી આધારિત નહીં હોય.
3. પડકાર 3: શિવસેના (ઉદ્ધવ જૂથ)નું અંતર
શિવસેના (ઉદ્ધવ જૂથ) દ્વારા આ મુદ્દે એનડીએને સમર્થન અપાયું નથી અને તે વિપક્ષમાં અડગ છે.
4. પડકાર 4: ON,OE અને પ્રાદેશિક પક્ષોનો વિરોધ
‘વન નેશન, વન ઇલેક્શન’ (ONOE) અને સીમાંકન જેવા કેન્દ્રીય મુદ્દા પર પ્રાદેશિક પક્ષો રાજ્યોના અધિકારોની લડત લડી રહ્યા છે, જેથી સર્વસંમતિ સાધવી અઘરું લાગે છે.
નંબર્સ ગેમ કેન્દ્ર સરકારને ફળશે?
પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના પરિણામોએ ભાજપનું મનોબળ ચોક્કસ વધાર્યું છે. ભાજપના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા મુજબ, જો તેમની પાસે જરૂરી સંખ્યા કરતાં એક પણ સાંસદ વધુ હશે, તો તેઓ બીજા જ દિવસે આ બિલ સંસદમાં રજૂ કરી દેશે. જોકે, નંબર્સ ગેમ હજુ પણ જટિલ છે. આગામી દિવસોમાં તૃણમૂલના બળવાખોરોનું વાસ્તવિક વલણ અને ડીએમકેનો પ્રતિકાર જ નક્કી કરશે કે વડાપ્રધાન મોદી આ ઐતિહાસિક સીમાંકન બિલ પસાર કરાવી શકશે કે નહીં.















