![]()
અમદાવાદ : વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) એ એપ્રિલમાં ભારતીય શેરબજારમાંથી રૂ. ૬૦,૮૪૭ કરોડ (૬.૫ બિલિયન ડોલર) પાછા ખેંચી લીધા છે. જેની પાછળનું મુખ્ય કારણ વધતા ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ હતું.
એનએસડીએલના ડેટા અનુસાર, ૨૦૨૬ના પ્રથમ ચાર મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કુલ આઉટફ્લો રૂ. ૧.૯૨ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જે સમગ્ર વર્ષ ૨૦૨૫ માટે રૂ. ૧.૬૬ લાખ કરોડના આઉટફ્લો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.
ફેબ્રુઆરી સિવાય ૨૦૨૬ના તમામ મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ચોખ્ખા વેચનાર હતા. જાન્યુઆરીમાં રૂ. ૩૫,૯૬૨ કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં રૂ. ૨૨,૬૧૫ કરોડનું રોકાણ કર્યું હતું, જે છેલ્લા ૧૭ મહિનામાં સૌથી વધુ હતું. જો કે, માર્ચમાં આ ટ્રેન્ડ બદલાયો હતો, અને ru. ૧.૧૭ લાખ કરોડનો રેકોર્ડ આઉટફ્લો જોવા મળ્યો હતો, જે ટ્રેન્ડ એપ્રિલમાં પણ ચાલુ રહ્યો હતો.
બજારના નિષ્ણાતો માને છે કે આ સતત વેચાણ વૈશ્વિક આર્થિક દબાણ અને વધતા ભૂ-રાજકીય જોખમોનું પરિણામ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ક્ડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો અને વૈશ્વિક ફુગાવા અંગે નવી ચિંતાઓ ઉદભવી હતી. આનાથી વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ હતી, અને વૈશ્વિક બોન્ડ યીલ્ડ ઉંચી રહી હતી, જેના કારણે ભારત જેવા ઉભરતા બજારોમાં રોકાણકારોનો વિશ્વાસ નબળો પડયો હતો.
વધુમાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા મજબૂત ખરીદી, જે અત્યાર સુધી રૂ. ૧.૭ લાખ કરોડ છે, અને FY૨૬ અને FY૨૮ વચ્ચે ૧૬% ની અંદાજિત કમાણી વૃદ્ધિ બજારને ટેકો આપી શકે છે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ અથવા યુએસ ૧૦-વર્ષના બોન્ડ યીલ્ડ ૪.૫%થી ઉપર વધે તો વેચાણ દબાણ ફરી વધી શકે છે.
બેન્ક થાપણની સરખામણીએ અન્ય સાધનોમાં રોકાણ કરવા પર ઊંચા વળતર મળી રહેતા હોવાથી રોકાણકારો થાપણમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે.















