![]()
Bike Fire Incident Anandnagar Road Ahmedabad: અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા આનંદનગર રોડ પર શનિવારે(9 મે) એક ચાલુ બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં આખું બાઇક આગની લપેટમાં આવી ગયું હતું. સદનસીબે, બાઇક ચાલકે સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો જીવ બચી ગયો હતો.
ટ્રાફિક વચ્ચે બાઇકમાં આગ ભભૂકી
આનંદનગર વિસ્તારમાં આવેલી કોમ્ફી હોટલ પાસે એક બાઇક સવાર રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક બાઇકના એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને પળવારમાં જ આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. બાઇકચાલકે તાત્કાલિક બાઇક ઊભું રાખીને સુરક્ષિત અંતરે ખસી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં બાઇકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આગના કારણે રોડ પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ પણ વાંચો: વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠ ઝડપાયા
શું હોઈ શકે કારણ?
પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ ટેકનિકલ ખામી અથવા તો પ્રચંડ ગરમીના કારણે એન્જિન ઓવરહીટ થવાથી લાગી હોવાનું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગરમીનો પારો 40-42 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે વાહનોમાં ઇંધણની લાઈન કે વાયરિંગમાં ખામી હોવાને કારણે આગની ઘટનાઓ બની શકે છે. પોલીસ અને ફાયર વિભાગે વાહનચાલકોને અપીલ કરી છે કે ઉનાળાની ઋતુમાં વાહનોનું નિયમિત સર્વિસિંગ કરાવવું અને વાયરિંગમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરાવવાનું ટાળવું જોઈએ.















