![]()
મહિલા રાષ્ટ્રપતિના અપમાન બદલ બંગાળના લોકો માફ નહીં કરે : પીએમ મોદી
અડવાણીને એવોર્ડ વખતે રાષ્ટ્રપતિ ઉભા હતા ને મોદી ખુરસી પર બેઠા હતા, અપમાન કરવું ભાજપની સંસ્કૃતિ : મમતા
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત દરમિયાન બંગાળ સરકારની કેટલીક બેદરકારી સામે આવી હતી, પ્રોટોકોલનું પાલન ના કરાયું હોવાના દાવા સાથે કેન્દ્ર સરકારે બંગાળ સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. જ્યારે બીજી તરફ મમતા બેનરજીએ એક તસવીર જાહેર કરી જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉભા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુરસી પર બેઠા છે, જાહેર સભામાં મમતાએ આ તસવીર દેખાડીને કહ્યું હતું કે તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે રાષ્ટ્રપતિ અને એક આદિવાસી નેતાનું મોદી સન્માન નથી જાળવી રહ્યા.
રાષ્ટ્રપતિને લઇ જવાયા તે રસ્તા પર કચરો કેમ હતો વોશરૂમમાં પાણીની વ્યવસ્થા કેમ નહોતી વગેરે સવાલો કેન્દ્રએ પૂછ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા જોકે તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી મમતા બેનરજી કે રાજ્યના કોઇ મંત્રી નહોતા આવ્યા, તેમના કાર્યક્રમનું સ્થળ પણ બદલી નખાયું હતું. આ મામલો ખુદ રાષ્ટ્રપતિ મુર્મુએ સભામાં ઉઠાવ્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે હવે કેન્દ્ર સરકારે બંગાળ સરકાર પાસેથી પ્રોટોકોલના ભંગ બદલ જવાબ માગ્યો છે. બંગાળના સચિવને મોકલાયેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવે બ્લૂ બૂકના ભંગ બદલ જવાબ આપવા કહ્યું છે. બ્લૂ બૂકમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાનની સુરક્ષાના પ્રોટોકોલ અને નિયમોનો ઉલ્લેખ હોય છે.
એવા અહેવાલો છે કે જે સ્થળે કાર્યક્રમ યોજાયો ત્યાં વોશરૂમની વ્યવસ્થા હતી પણ પાણી નહોતું. જે અંગે પણ રાજ્ય સરકાર પાસેથી કેન્દ્રએ જવાબ માગ્યો છે. સાથે જ સવાલ કર્યો છે કે રાષ્ટ્રપતિને કાર્યક્રમ સ્થળે લઇ જવા માટે જે રસ્તાને પસંદ કરાયો ત્યાં કચરો કેમ હતો? આ તમામ નિયમોના ભંગ બદલ સિલિગુડીના એડિશનલ ડીએમ અને સીપી, દાર્જીલિંગના ડીએમ સામે શું પગલા લીધા? તેનો જવાબ પણ માગ્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે એક આદિવાસી મહિલા નેતા અને દેશના રાષ્ટ્રપતિનું અપમાન કરનારી ટીએમસીને બંગાળના લોકો ક્યારેય માફ નહીં કરે. આજે જ્યારે દેશમાં મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે હજુ ગઇ કાલે જ બંગાળની ટીએમસી સરકારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કર્યું, આદિવાસી કાર્યક્રમના આયોજનમાં ગેરરિતી ઉપરાંત બંધારણ, રાષ્ટ્રપતિ અને લોકશાહીની પરંપરાનો અનાદર પણ થયો.
બીજી તરફ વળતા પ્રહાર કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે હું એસઆઇઆર મુદ્દે લોકોના અધિકારોના રક્ષણ માટે ધરણા પર બેઠી હોવાથી રાષ્ટ્રપતિના સ્વાગત માટે ના જઇ શકી, રાષ્ટ્રપતિના સ્વાગતમાં કોઇ જ પ્રોટોકોલનો ભંગ નથી થયો, રાષ્ટ્રપતિનું અપમાન કરવાની સંસ્કૃતિ અમારી નહીં પણ ભાજપની છે, ફોટોમાં સ્પષ્ટ દેખાય છે કે વડાપ્રધાન મોદી બેઠા છે જ્યારે રાષ્ટ્રપતિ તેમની બાજુમાં ઉભા છે. મમતાએ જે તસવીર જાહેર કરી તે એલ. કે. અડવાણીને અપાયેલા ભારત રત્ન સમયની છે. મમતાએ એવો પણ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિનો કાર્યક્રમ સરકારી નહીં પણ ખાનગી હતો અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કાર્યક્રમ માટે સ્થળ પુરુ પાડયું હતું. મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું તે હું બાળપણથી જ જાણુ છું.















