– અમેરિકા-ઈરાન યુદ્ધ અને ક્રૂડના ભાવમાં ઊછાળાની અસર
– ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 119 ડોલરને સ્પર્શી 109 ડોલરના સ્તરે પાછો આવી ગયો
નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની ભારત પર ગંભીર અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. ભારતમાં એલપીજીની અછત વર્તાવાની સાથે હવે પેટ્રોલ અને ડીઝલ પર પણ અસર પડી રહી છે. દેશમાં એલપીજી પછી હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૨.૩૫ અને ઔદ્યોગિક ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૨૨નો વધારો કર્યો છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ યથાવત્ રહેશે તો આગામી સમયમાં સાદા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારાની શક્યતા છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલે ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ રૂ. ૨૩,૭૪૩ કરોડનો નફો નોંધાવ્યો હતો
અમેરિકા અને ઈઝરાયેલ તથા ઈરાને એકબીજાના ઓઈલ ડેપો પર મિસાઈલ હુમલા શરૂ કર્યા પછી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસની કટોકટી વધુ ઘેરી બની છે. આવા સમયે ભારતમાં સરકારી ઓઈલ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમે પ્રીમીયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૨.૦૯થી રૂ. ૨.૩૫ સુધીનો વધારો જાહેર કર્યો છે, જેનો અમલ શુક્રવારથી જ શરૂ થઈ ગયો છે. જોકે, સાદા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.
ઓઈલ કંપનીઓની જાહેરાતના પગલે હવે પ્રીમિયમ ૯૫-ઓક્ટેન પેટ્રોલનો ભાવ દિલ્હીમાં પ્રતિ લીટર રૂ. ૯૯.૮૯થી વધીને રૂ. ૧૦૧.૮૯ થઈ ગયો છે. આ સાથે ઔદ્યોગિક ડીઝલ અથવા ડીઝલની જથ્થાબંધ ખરીદી માટેનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭થી વધીને રૂ. ૧૦૯.૫૯ને પાર થઈ ગયો છે. જોકે, સાદા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો ન હોવાથી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને સમાન ગ્રેડના ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ના સ્તરે યથાવત્ રહ્યો છે તેમ સરકારી સૂત્રોએ કહ્યું હતું.
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે ગુરુવારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૧૯ ડોલરને સ્પર્શી ગયા હતા. જોકે, ત્યાર પછી ભાવ ઘટીને પ્રતિ બેરલ ૧૦૮ ડોલરના સ્તરે આવી ગયા હતા. સાદા પેટ્રોલમાં ૯૧-૯૨નું ઓક્ટેન રેટિંગ હોય છે અને તે સ્ટાન્ડર્ડ એન્જિન્સ માટે યોગ્ય છે, જે દૈનિક પરિવહન માટે પર્યાપ્ત પરફોર્મન્સ આપે છે. બીજીબાજુ પ્રીમિયમ પેટ્રોલમાં ૯૫-૯૮નું ઊંચું ઓક્ટેન રેટિંગ હોય છે, જે હાઈ પરફોર્મન્સ અથવા હાઈ કોમ્પ્રેસન એન્જિન્સ માટે આદર્શ હોય છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા પછી જૂન ૨૦૨૨માં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૧૯ ડોલરને પાર થઈ ગયો હતો. જોકે, તે જ વર્ષે ઓઈલ કંપનીઓએ સામાન્ય નફો નોંધાવ્યો હતો, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૪માં કંપનીઓએ રૂ. ૮૧,૦૦૦ કરોડનો નફો નોંધાવ્યો હતો. એ જ રીતે આ વર્ષે ત્રણેય કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં જ કુલ રૂ. ૨૩,૭૪૩ કરોડનો નફો નોંધાવ્યો છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે, સાદા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નથી. પ્રીમિયમ કેટેગરીના પેટ્રોલમાં આંશિક વધારો કરાયો છે, જે કુલ પેટ્રોલ વપરાશના માંડ ૨-૪ ટકા જેટલું છે. આ ભાવવધારાથી સામાન્ય માણસના ખીસ્સા પર કોઈ અસર નહીં થાય. તેમણે ઉમેર્યું હતું કે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રિત નથી કરતી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો નિર્ણય ઓઈલ કંપનીઓનો છે. જોેકે, એપ્રિલ ૨૦૨૨ના સમયથી રિટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તેમાં કોઈ વધારો કરાયો નથી. આ સમયમાં ક્રૂડના ભાવમાં વધારાથી સાદા પેટ્રોલ અને ડીઝલના વેચાણથી થતું નુકસાન ઓઈલ કંપનીઓ વહન કરી રહી છે જ્યારે ક્રૂડના ભાવ ઘટે ત્યારે તેમને નફો થાય છે.















