![]()
– અજરપુરા શિવનગર રોડ પર અકસ્માત
– અકસ્માત બાદ વાહન ચાલક ફરાર, આણંદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી
આણંદ : આણંદ તાલુકાના અજરપુરા શિવનગર રોડ ઉપર સોમવારે રાત્રિના સુમારે અજાણ્યા વાહન ચાલકે એક બાઈકને ટક્કર મારતા ૨૯ વર્ષીય બાઈક ચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી વાહન લઇ ફરાર થઈ ગયો હતો.
આણંદ પાસેના ગામડી ગામના ત્રીકમ નગર વિસ્તારમાં રહેતો ૨૯ વર્ષીય હીરાભાઈ કાંતિભાઈ ગોહેલ રિક્ષા ડ્રાઇવિંગ કરીને જીવન ગુજરાન ચલાવતો હતો. સોમવારે રાત્રિના સુમારે તે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો. રાત્રિના સુમારે હજારપુરા પાસે આવેલ શિવનગર તરફના રોડ ઉપરથી તે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહનપુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાઈકને ટક્કર મારતા બાઈક સવાર હીરાભાઈ ઉછડીને રોડ ઉપર પટકાયો હતો. આ અકસ્માતમાં હીરાભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ભાનુબેન કચ્છીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.















