![]()
વડોદરાઃ હાલમાં ચાલી રહેલી પ્રવેશ કાર્યવાહી દરમિયાન એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો એક સમસ્યાનો ઉકેલ લાવે તો બીજી સમસ્યા સામે આવીને ઉભી રહી જાય છે.
જીકાસ હેઠળ એફવાયબીકોમમાં પ્રવેશના બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે ત્યારે સેંકડો વિદ્યાર્થીઓ એવા પણ સામે આવ્યા છે જેમણે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરતી વખતે બીકોમની જગ્યાએ બીકોમ બિઝનેસ ઓપરેશનના કોર્સનો વિકલ્પ પસંદ કર્યો હતો અને એ પછી યુનિવર્સિટીના પોર્ટલ પર એફવાયબીકોમની પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ પરીક્ષા આપી હતી.આ વિદ્યાર્થીઓને હવે પોતાની ભૂલનો અહેસાસ થયો છે.
આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરીને તેમને એફવાયબીકોમમાં પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.વાલીઓ અને વિદ્યાર્થીઓએ જીકાસ પર દોષનો ટોપલો ઢોળીને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.
દરમિયાન કોમર્સ ફેકલ્ટીના ડીને કહ્યું હતું કે, આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે પ્રયત્ન કરવામાં આવશે.આ માટે સોમવારે નિર્ણય લેવાશે.જોકે તેમને કોમર્સ ફેકલ્ટીના મુખ્ય કેમ્પસમાં નહીં પણ પાદરા કોલેજમાં પ્રવેશ લેવો પડશે.
આર્ટસમાં રાત્રે નવ વાગ્યા સુધી પ્રવેશ કાર્યવાહી ચાલી
બીજા રાઉન્ડના અંતે કોમર્સમાં ૬૭૫૦ અને સાયન્સમાં ૧૪૬૪ એડમિશન
જીકાસ હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં આજે પ્રવેશનો બીજો રાઉન્ડ પૂરો થયો છે. કોમર્સ ફેકલ્ટીમાં એફવાયમાં બીજા રાઉન્ડમાં ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે અને એફવાયબીકોમમાં અત્યાર સુધીમાં ૬૭૫૦ જેટલા વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થયા છે.
સાયન્સ ફેકલ્ટીએ બીજા રાઉન્ડના અંતે ૪૮૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે.આમ એફવાયબીએસસીમાં અત્યાર સુધીમાં ૧૪૬૪ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.
દરમિયાન આર્ટસ ફેકલ્ટીમાં બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીના છેલ્લા દિવસે રાત્રે નવ વાગ્યા સુધી પ્રવેશ કાર્યવાહી ચાલી હતી.બપોરના સમયે ફેકલ્ટીમાં અંધાધૂધી ભરી સ્થિતિ પણ જોવા મળી હતી.આર્ટસ ફેકલ્ટીએ પ્રવેશના બીજા રાઉન્ડમાં પ્રવેશના છેલ્લા દિવસે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો.















