![]()
Pappu Yadav Statement : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પરિણામોને લઈને રાજકીય નિવેદનબાજી તેજ બની છે. પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે ભાજપની જીતને લઈને એક અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. બીજી તરફ, ભાજપ દ્વારા બંગાળમાં સરકાર બનાવવાનો મક્કમ દાવો કરવામાં આવી રહ્યો છે.
પપ્પુ યાદવનું નિવેદન: ‘સંઘર્ષ છોડી દઈશ’
સાંસદ પપ્પુ યાદવે જણાવ્યું છે કે જો બંગાળમાં ભાજપ જીતી જશે તો હું સેવા, મદદ અને ન્યાય માટેનો પોતાનો સંઘર્ષ છોડી દેઇશ. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંગાળની જનતાએ ભાજપનો સંપૂર્ણ સફાયો કરી દીધો છે.
ગિરિરાજ સિંહનો પલટવાર
બેગુસરાયના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વળતો પ્રહાર કરતા કહ્યું કે, “ભાજપની સરકાર બનવા જઈ રહી છે એવો સવાલ જ નથી, પણ ભાજપની સરકાર બની ગઈ છે”. તેમણે વધુમાં ઉમેર્યું કે 4 મે પછી તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કાઢવામાં આવશે.
બીજા તબક્કામાં બમ્પર મતદાન
બંગાળ ચૂંટણીના બીજા તબક્કામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ્યમાં અંદાજે 89.99% મતદાન નોંધાયું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 61.11% મતદાન થયું હતું, જે ૩ વાગ્યા સુધીમાં વધીને 78.68% સુધી પહોંચ્યું હતું અને અંતે આ આંકડો 90 ટકાની નજીક પહોંચી ગયો હતો.















