ભાવનગર ગદ્યસભાનો પાંત્રીસમો સ્થાપના દિવસ મેઘાણી ઑડિટોરિયમ ભાવનગર ખાતે તાજેતરમાં યોજાઈ ગયો.
ગદ્યસભાના આ વાર્તાપર્વની ઉજવણીમાં વાચિકમ્ , મંચન અને મોનોએક્ટ રજૂ થયાં હતાં.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી નટવરભાઈ વ્યાસે મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમની ભૂમિકા બાંધી આપી હતી.
વાચિકમ્ કૃતિઓમાં જતીન ઉપાધ્યાયના નિબંધ ‘તળાવેથી’ નું નિરાલી ઉપાધ્યાયે, પ્રવીણ સરવૈયાની લઘુકથા ‘ઝિયાણું’નું મૌલિ ત્રિવેદીએ અને દીપ વ્યાસની ટૂંકી વાર્તા ‘છેલ્લા શબ્દો’નું ભાવવાહી વાચિકમ્ જતીન ઉપાધ્યાયે કર્યું હતું.
ત્યારબાદ મંચન ઇવેન્ટમાં વાર્તાકાર અજય ઓઝાની ટૂંકી વાર્તા ‘વંઢાપો’નું વિપુલ કોરડિયા અને દીપ વ્યાસ દ્વારા થયેલ નાટ્ય રૂપાંતર ગદ્યસભાના સદસ્યો દ્વારા ભજવાયું હતું. તો નીતિન ત્રિવેદી દ્વારા લખાયેલ ‘ના, હું એને પ્રેમ કરતો નથી’ની મોનોએક્ટ ભજવણી કલાકાર યશ કુવાડિયા દ્વારા સુંદર રીતે થઈ હતી.
‘મૈં માધુરી બનના ચાહતા હું…’ નામે ગદ્યસભાના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા રચાયેલ એક વિલક્ષણ વાર્તાની મોનોએક્ટ પ્રસ્તુતિ નાટ્યકાર ઉત્કર્ષ ભટ્ટ મારફત અદભૂત રીતે પ્રસ્તુત કરવામાં આવેલ.
ત્યારબાદ અરવિંદભાઈ પંડ્યા રચિત ‘આઘાત’ વાર્તાનું ગદ્યસભાના સભ્ય વિપુલ કોરડિયા દ્વારા થયેલ નાટ્ય રૂપાંતર ગદ્યસભાના જ સભ્યો દ્વારા ભજવામાં આવ્યું. જે પ્રેક્ષકોની દાદ મેળવી ગયું.
પરદેશથી હમણાં ભાવનગરના ભાવાવરણને માણી રહેલ કવિ શ્રી અશરફ ડબાવાલા અને કવિયત્રી શ્રી મધુમતીબહેન મહેતાએ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની વિવિધ તરાહથી પ્રભાવિત થઈ શુભેચ્છાઓ પાઠવી હતી.
ગદ્યસભાના વાર્તાપર્વ ૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષ સાહિત્યકાર ભદ્રાયુ વચ્છરાજાની, આદરણીય કવિ શ્રી વિનોદ જોશી, શામળદાસ કૉલેજના નવનિયુક્ત પ્રિન્સિપાલ ડૉ. વિશ્વાસ જોશી, શિશુવિહાર બુધસભાના કવિઓ, કવિતાકક્ષના અધ્યક્ષ શ્રી હિમલભાઈ પંડ્યા અને તેની ટીમ, ગુજરાતીના અધ્યાપક દિક્પાલસિંહ જાડેજા, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી પધારેલ મુખ્ય શિક્ષકો, સારસ્વત ગણ અને ભાવેણાંના સમજદાર ભાવકોએ ઉપસ્થિત રહી પ્રસ્તુત વાર્તાપર્વમાં પ્રાણ પૂર્યા હતાં.
પોતાનાં વિદ્યાર્થીઓના શબ્દઘડતર સાથે જીવન ઘડતર માટે સતત પ્રવૃત્ત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાષા ભવનના અધ્યક્ષ તેમજ ભાવનગર ગદ્યસભાના પ્રમુખ, સાહિત્યકાર ડૉ. મહેન્દ્રસિંહ પરમારે ભાવનગર ગદ્યસભાના ગદ્યકારોનાં સર્વાંગી સર્જનની પ્રોસેસ તેમજ ગદ્યસભાની ગદ્યને લગતી પ્રવૃત્તિઓ વિશે અધ્યક્ષીય ઉદ્બોધન કર્યું હતું.
ગદ્યસભાના આ પાંત્રીસમા વાર્ષિકોત્સવને સફળ બનાવવા ડૉ. માનસીબેન ત્રિવેદી, દીપિકાબેન યાદવ, દર્શન પાઠક, સંદીપ પંડ્યા, મેઘરાજસિંહ, પારસ મકવાણા, તિશા સુથાર, કૃતિ પંડ્યા, રિદ્ધિ વગેરેએ એક્ટિંગ, ગ્રાફિક્સ, લાઈટિંગ, મ્યુઝિક, કૉચ્યુમ્સ, મેકઅપ વગેરેમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
ગદ્યસભાના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય આદરણીય ગંભીરસિંહજી ગોહિલ અને માય ડિયર જયુ સાહેબની પ્રેરણા થકી સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.
ભાવનગર ગદ્યસભાના આ ૩૫મા સ્થાપના દિવસ વાર્તાપર્વ ૩ના સમગ્ર કાર્યક્રમની ડિઝાઇન તૈયાર કરીને એને ચરિતાર્થ કરી હતી અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ મંત્રી શ્રી અજય ઓઝાએ. તો વાચિકમ્ ઇવેન્ટ પ્રવીણ સરવૈયાએ સંભાળી હતી.
વાર્તાપર્વ ૩નું સંચાલન રેણુકા મહેતા અને અક્ષર જાનીએ કર્યું હતું.

















