India Revives Wular Barrage Project: ઓપરેશન સિંદૂર બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. જેને લઈને પાકિસ્તાને અનેક પ્રતિક્રિયા આપી પરંતુ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ સંધિ શાંતિ માટે હતી. આમ, જો પાકિસ્તાન શાંતિ સ્થાપવા ઈચ્છતુ નથી તો આ સંધિ પણ નહીં રહે. આ દરમિયાન ભારત પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં છે. જેમાં જમ્મુ અને કાશ્મીર સરકાર ચાર દાયકાથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટને પુનર્જીવિત કરી રહી છે. તેનો હેતુ ઝેલમ નદીના પાણીના પ્રવાહનો સંગ્રહ અને નિયમન કરવાનો છે.
વુલર બેરેજ પ્રોજેક્ટથી પાકિસ્તાનને વધુ એક ઝટકો
કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારે સિંધુ જળ સંધિને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને પડતો મૂક્યો હતો. જ્યારે હવે સંધિ સ્થગિત કરવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સરકાર તેને ફરીથી શરૂ કરવા જઈ રહ્યું છે. અધિકારીઓ અનુસાર, કેન્દ્ર અને સ્થાનિક સરકાર જલ્દી સાથે મળીને વુલર બેરેજ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.
જમ્મુ-કાશ્મીર સરકારની શું છે યોજના?
ઓપરેશન સિંદૂર બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણય બાદ વુલર બેરેજ તળાવ ફરી એકવાર ધ્યાન પર આવ્યું છે. જેને લઈને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વિધાનસભામાં કહ્યું હતું કે, તેમની સરાકર કેન્દ્રની સાથે મળીને બે મોટા પ્રોજેક્ટ પર કામ રહી છે. જેમાં જમ્મુ શહેરને અખનૂર ખાતે ચિનાબ નદીના પાણી પુરવઠા અને ઝેલમ પરના તુલબુલ પ્રોજેક્ટ (વુલર બેરેજ) પર ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે, આ પ્રોજેક્ટ માટે ભંડોળ શરૂઆતમાં એશિયન બેંક પાસેથી મેળવવામાં આવ્યું હતું, પરંતુ સિંધુ સંધિને કારણે તેને અટકાવી દેવામાં આવ્યું હતું.
વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ઝેલમ નદીના પ્રવાહ અનુસાર તળાવનો આકાર બદલતો રહે છે. જેમાં લઘુતમ વિસ્તાર 20 વર્ષ કિલોમીટર જેટલો છે, જ્યારે મહત્તમ 190 વર્ગ કિલોમીટર છે.
આ પણ વાંચો: …તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ અંગે સસ્પેન્સ
સ્થાનિકોમાં રોજગારીની તકો ઉભી થવાની આશા
આ બેરેજ બનાવવાથી સ્થાનિકોમાં રોજગારીની તકો ઉભી થવાની આશા છે. એક રિપોર્ટ અનુસાર, શિયાળાની ઋતુમાં ઝેલમ નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થાય છે, જેના કારણે વુલરનો મોટાભાગનો ભાગ સૂકો પડી જાય છે. જ્યારે હવે સરકારે આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, ત્યારે તેનાથી સ્થાનિકોમાં રોજકારીની તકો ઉભી થશે. નોંધનીય છે કે, બાંદીપોરાથી લઈને સોપોર સુધી અનેક લોકો માછીમારી, કમળ કાકડી કાઢવા માટે હોડીનો ઉપયોગ કરા હતા. પરંતુ તળાવ સંકોચાઈ જવાના કારણે તેમની પરંપરાગત આજીવિકા બંધ થઈ ગઈ હતી.

















