![]()
જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કર્યાને છ મહિના વિતવા છતા તંત્ર દ્વાર કોઈ નિરાકરણ નહીં આવતા રોષ
નડિયાદ: મહુધા તાલુકાના અલીણા ગામના નાગરિક દ્વારા ગામની પ્રાથમિક સુવિધાઓ અને વહીવટી પ્રશ્નોને લઈને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. જેને છ માસ જેટલો સમય થવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન થતા અરજદારે વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.
મહુધા તાલુકાના અલીણા ગામના અશોકભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગામમાં ઠેર-ઠેર જામી ગયેલા કાદવ-કીચડને તાત્કાલિક દૂર કરવા, ગ્રામ પંચાયત કચેરીમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને નિવૃત કરી, તેમના સ્થાને નવી ભરતી કરવા, કુંભારવાડા વિસ્તારમાં હાલ આઠ દિવસે એકવાર પાણી મળી રહ્યું છે, જેના બદલે દરરોજ પાણી આપવા, પરબડી ચોકથી દૂધની ડેરી સુધીની ગટર લાઈનની સફાઈ કરવા, ગામમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આમ છતાં નિયમિત સાફ-સફાઈ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યોે છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડથી દૂધની ડેરી સુધીના માર્ગ પર બંધ હાલતમાં રહેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાની માગણી કરી હતી. આ બાબતો અંગે તા.૨૯-૭-૨૫ના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં ઉચ્ચ સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અરજદારે આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
– નિયમિત ડોર ટુ ડોર કચરો ઉઠાવવા વાહન ફરે છે : તલાટી
અલીણા ગામમાં ઠેર ઠેર કચરાના ડગલાં બાબતે તલાટી કમ મંત્રી કુંદનભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ દરરોજ ડોર ટુ ડોર વાહન મારફત કચરો ઉઠાવવામાં આવે છે. આમ છતાં લોકો દ્વારા જાહેર રસ્તા પર કચરો ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓ કામમાં વ્યસ્ત હોય ફરી વાત કરવાનું જણાવ્યું હતું.

















