![]()
વડોદરાઃ વડોદરાની ૨૧ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ મેલ મળ્યા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું.જે સ્કૂલોને ઈ મેલ મળ્યો હતો તે સ્કૂલો તો તરત જ છોડી દેવામાં આવી હતી.વિદ્યાર્થીઓને બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને વાલીઓને જાણકારી મળતા તેઓ પણ બાળકોને લેવા માટે સ્કૂલે દોડી ગયા હતા.
બીજી તરફ જે સ્કૂલોને ઈ મેલ નહોતો મળ્યો તે પૈકીની કેટલીક સ્કૂલોને પણ તકેદારીના ભાગરુપે સંચાલકોએ છોડી દીધી હતી.જ્યારે બપોરની પાળીમાં ચાલતી કેટલીક સ્કૂલોએ વોટસ એપ થકી અને એસએમએસ મોકલીને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલે નહીં આવવા માટે જાણ કરી દીધી હતી.
સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોમાં તા.૧૭ ફેબ્રઆરીથી બોર્ડ પરીક્ષાઓ શરુ થઈ રહી છે ત્યારે ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ વાલીઓને શાંત રહેવા માટે અપીલ કરી હતી.તેમણે એક વાતચીતમાં કહ્યું હતું કે, બાળકોની સલામતીને પ્રાથમિકતા આપવા માટે અને તે માટે જરુરી કાર્યવાહી કરવા તથા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા માટે સ્કૂલોને સૂચના આપવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા પહેલા જ ધમકીના કારણે વિદ્યાર્થીઓની એકાગ્રતા ભંગ થવાનો ડર
વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ઈ- મેલ મળ્યા બાદ આજે વડોદરા વાલી મંડળે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી.
વાલી મંડળનું કહેવું છે કે, તા.૧૭ ફેબુ્રઆરીથી સેન્ટ્રલ બોર્ડ પરીક્ષા શરુ થવાની છે અને સ્કૂલોને તેના એક દિવસ પહેલા ધમકીભર્યા મેલ મળ્યા છે.જેનાથી વિદ્યાર્થીઓમાં ગભરાટ છે.તેમની એકાગ્રતા પણ ભંગ થઈ શકે છે.ભૂતકાળમાં પણ સ્કૂલોને આ પ્રકારે ધમકી મળેલી છે.ઉપરાંત જ્યારે પણ આ પ્રકારની ધમકી મળે છે ત્યારે સ્કૂલો છોડી દેવામાં આવ છે અને ગભરાટમાં અકસ્માત થવાનો પણ ડર રહે છે.
વાલી મંડળનું કહેવું છે કે, આ મામલાની તપાસ રાષ્ટ્રીય કે પછી રાજ્ય સ્તરની સુરક્ષા એજન્સીને સોંપવામાં આવે.જેથી ડિજિટલ ધમકીઓના મૂળ સુધી પહોંચી શકાય.તેમજ સ્કૂલોમાં સુરક્ષા માટે એક એસઓપી બનાવવામાં આવે.
















