![]()
Ahmedabad Zoo Uses Air Coolers: અમદાવાદમાં ઉનાળાનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે મનુષ્યોની સાથે સાથે પ્રાણી સંગ્રહાલયના અબોલ જીવોને ગરમીથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી રક્ષણ આપવા માટે હાઈટેક સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે.
2190 વન્યજીવો માટે ‘કૂલ’ વ્યવસ્થા
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં હાલ 2190 જેટલા પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપો વસવાટ કરે છે. તાપમાનના વધારાથી બચાવવા માટે સિંહ, વાઘ, દીપડા અને હાથી જેવા પ્રાણીઓના પાંજરા પાસે 38 થી 40 જેટલા એર કૂલર લગાવવામાં આવ્યા છે. નિશાચર પ્રાણીઓ માટેના ઝૂમાં ETHE (Earth Tube Heat Exchanger) અને જીઓ-થર્મલ એરેશન સિસ્ટમ કાર્યરત છે, જે અંદરનું તાપમાન સાનુકૂળ રાખે છે. સૂર્યના સીધા કિરણોથી બચાવવા માટે પાંજરાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને યોગ્ય શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર
ખાસ ડાયટ અને મેડિકલ દેખરેખ
પ્રાણીઓમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે છે. ગરમીમાં ઠંડક આપવા માટે પ્રાણીઓને તરબૂચ, ટેટી અને શેરડી જેવા ફળો આપવામાં આવે છે. વન્યજીવોના પીવાના પાણીમાં ગ્લુકોઝ અને ORS પાઉડર ઉમેરવામાં આવે છે જેથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે. વિદેશી પ્રાણીઓ પર ગરમીની વધુ અસર ન થાય તે માટે વેક્સિનેશન, ડિવોર્મિંગ અને મેડિકલ ચેકઅપ માટે રેગ્યુલર રાઉન્ડ લેવામાં આવે છે.
મુલાકાતીઓ માટે પણ વિશેષ સુવિધાઓ
વેકેશનના સમયમાં અંદાજે 3 લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લેતા હોવાથી તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ માટે ઝૂ સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે. પ્રવાસીઓ માટે પાણીની પરબ, ઠંડક માટે એર કૂલર, ગ્રીન નેટનો છાયડો અને વોટર પોઈન્ટ્સ ઉપલબ્ધ છે.
છેલ્લા 5 વર્ષમાં કાંકરિયા ઝૂની 77.72 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. પર્યટનને વધુ વેગ આપવા માટે હાલ ‘વોક ઈન એવરી’ બનાવવાની કામગીરી ચાલુ છે અને નવા પ્રાણીઓ લાવવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. મુલાકાતીઓની સુવિધા માટે ઓનલાઈન ટિકિટિંગ અને ઝૂ ગાઈડની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે.















