![]()
Anand Road Accident: આણંદ જિલ્લાના તારાપુર પાસે આવેલા ફતેપુરા ગામ નજીક આજે (11મી મે) વહેલી સવારે ગોઝારી અકસ્માતની ઘટના બની હતી. રોડની સાઈડમાં ઉભેલી એક ટ્રક પાછળ કેરી ભરેલો ટેમ્પો ધડાકાભેર ઘૂસી જતાં ટેમ્પોમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય પાંચ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતી.
દાહોદના શ્રમિક પરિવારો કાળનો કોળિયો બન્યા
મળતી વિગતો અનુસાર, કેરી ભરેલો ટેમ્પો પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, ત્યારે ફતેપુરા ગામ નજીક માર્ગની સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ તે જોરદાર અથડાયો હતો. ટેમ્પોમાં સવાર તમામ લોકો શ્રમિકો હોવાનું જાણવા મળ્યું છે, જેઓ મૂળ દાહોદ જિલ્લાના વતની હતા. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે ટેમ્પોનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો. મૃતકોમાં બે મહિલા અને એક નિર્દોષ બાળકનો પણ સમાવેશ થાય છે, જેના કારણે વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર
સ્થાનિકોની મદદ અને પોલીસ તપાસ
અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકોના ટોળા મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કેબિનમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
હાઈવે ઓથોરિટી સામે જનરોષ: “અકસ્માત ઝોન” ના બોર્ડનો અભાવ
આ ગમખ્વાર અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, હાઈવે ઓથોરિટી દ્વારા આ વિસ્તારમાં કોઈ જ પ્રકારના ચેતવણી કે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. આ સ્થળ પર અગાઉ પણ અકસ્માતો થયા હોવા છતાં તેને ‘એક્સિડન્ટ ઝોન’ તરીકે દર્શાવવામાં આવ્યો નથી.
પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી, ટ્રક ચાલક અને ટેમ્પો ચાલકની બેદરકારી સહિતના પાસાઓ પર તપાસ કેન્દ્રિત કરી છે.















