![]()
– પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો
– મરણના ખોટા દાખલા અને રદ થયેલા પાવર ઓફ એટર્નીના આધારે જમીનના વેચાણના ગંભીર આક્ષેપો
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ અને સુંદલપુરા ગામની સીમમાં આવેલી જમીનો બોગસ અને બનાવટી દસ્તાવેજોના આધારે વેચાણ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે બે પક્ષો દ્વારા સામસામે ફરિયાદ કરવામાં આવી છે. ઉમરેઠ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યોે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઉમરેઠમાં બોગસ ખેડૂત બની જમીન ખરીદીનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ઉઠી હતી, ત્યારે હવે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા નગરમાં વિવિધ ચર્ચાઓ વહેતી થઈ છે.
ઉમરેઠના નકુલકુમાર કિરીટભાઈ ગાભા વાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રતનપુરાના દિનેશભાઈ અંબાલાલ રાવળ, સિદ્ધાર્થ ઉર્ફે રાહુલ દિનેશભાઈ રાવળએ ગુનાહિત કાવતરું રચીને નવી શરતની જમીનો જૂની શરતમાં તબદીલ કરવા માટે સિદ્ધાર્થ રાવલે વૈભવ ભુપેન્દ્રભાઈ પટેલ, નિલેશકુમાર હસમુખભાઈ દલવાડી અને અમરભાઈ મહેન્દ્રભાઈ જોશીનો સંપર્ક કર્યોે હતો. વૈભવ પટેલની ઓફિસમાં કામ કરતાં ભૌમિક કુમાર પ્રવીણભાઈ પટેલ (રહે ઉમરેઠ)એ જાણી જોઈને અરજદાર તરીકે સરકાર પક્ષે ગણોતધારાની કાર્યવાહી કરવામાં ન આવે અને ત્રાહિત પક્ષકાર તરીકે પોતે અંગત લાભ મેળવવા માટે ગણોત કેસ દાખલ કરાવ્યો હતો. દિનેશભાઈ અંબાલાલ રાવળ અને સુભાષભાઈ અંબાલાલ રાવળે માતા-પિતા મરણ ગયા હોવા છતાં પણ સંજયભાઈ લાલાભાઇ રાઠોડ (રહે.રતનપુરા)ની મદદથી કોમ્પ્યુટર ઓપરેટર વિજયભાઈ મનુભાઈ રાઠોડ પાસે માતા લક્ષ્મીબેનના નામની જગ્યાએ નંદુબેનનું નામ દર્શાવ્યું હતું. બાદમાં તારીખ ૨૧-૮-૨૦૨૩ના રોજ બનાવટી મરણનો દાખલો તૈયાર કરી તેના ઉપર તત્કાલીન તલાટી દક્ષેશભાઈ મેઘા (રહે.હમીદપુરા)એ રેકર્ડની ચકાસણી કર્યા વિના સહી સિક્કા કરી આપ્યા હતા. સુભાષભાઈ અને દિનેશભાઈએ આ મરણના દાખલા સુંદલપુરા ગ્રામ પંચાયતમાં રજૂ કરી ગામમાં આવેલી જમીનમાં નંદુબેનના વારસદાર તરીકે પોતાના નામ દાખલ કરવા માટે અરજી કરી હતી. ખોટુ પેઢીનામું પ્રમાણિત કરવા માટે પંચ તરીકે નગીનભાઈ મંગળભાઈ ઝાલા અને ગીરીશભાઈ હરમાનભાઈ સોલંકીએ સહીઓ કરી હતી. જમીનના સહ ખાતેદાર કનુભાઈ લક્ષ્મણભાઈ રાવળે અન્ય સાચા વારસદારોને અંધારામાં રાખવાના બદ ઇરાદાથી તેમજ નંદુબેનના કાયદેસરના વારસદારો સહિત અન્ય કોઈ સહ ખાતેદારને ફેરફારની જાણ ન થાય તે હેતુથી ૧૩૫ ડીની તમામ નોટિસ ઉપર પોતાનો મોબાઈલ નંબર આપી બનાવટી દસ્તાવેજો અને ખોટા પુરાવાઓનો ઉપયોગ કરી વારસાઈ નોંધ દાખલ કરાવી હતી. બાદમાં નાયબ મામલતદાર દ્વારા પ્રમાણિત કરાવીને ગેરકાયદેસર રીતે સુભાષભાઈ અંબાલાલ રાવળ અને દિનેશભાઈ અંબાલાલ રાવળે ખેડૂત તરીકેનો દરજ્જો મેળવ્યો હતો અને નવી શરતમાંથી જૂની શરતની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ત્યારબાદ નક્કી થયા મુજબ કનુભાઈ રાવળે દિનેશભાઈ અને સુભાષભાઈએ ઉક્ત જમીનમાંથી પોતાનો હક કમી કરી આપ્યો હતો અને બાદમાં સુભાષભાઈએ ઉમરેઠના નકુલભાઈ પાસેથી રૂપિયા ૯.૦૨ લાખ લઈ જમીનનો વેચાણ દસ્તાવેજ ચંદ્રિકાબેન ઉર્ફે ચંદનબેન હસમુખભાઈ દલવાડી અને અમરભાઈ મહેન્દ્રભાઈ જોશીને કરી આપી વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરુ કરતા નકુલકુમાર કિરીટકુમાર ગાભા વાળાએ ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સામા પક્ષે સિદ્ધાર્થ ઉર્ફે રાહુલ દિનેશભાઈ રાવળે નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉમરેઠના નકુલ કુમાર કિરીટકુમાર ગાભા વાલા તથા તેમના કુટુંબી ગોકુલકુમાર શૈલેષકુમાર ગાભા વાલા દ્વારા તેઓની વડીલો પારજિત કિંમતી જમીનો પચાવી પાડવા માટે બાપદાદાના રૂપિયા ૭૦ લાખ આપવાના બાકી છે તેમ જણાવી સિદ્ધાર્થ ભાઈના દાદા અંબાલાલની માલિકીની ઉમરેઠ ગામની જુદા જુદા સર્વે નંબરો વાળી જમીનો અને કાકા સુભાષભાઈની માલિકીની ઉમરેઠ ખાતે આવેલી જુદાજુદા સર્વે નંબર વાળી જમીનોનો પાવર ઓફ એટર્ની કરાવી લીધો હતો. જોકે આ પાવર ઓફ એટર્ની સિદ્ધાર્થ તથા તેમના પરિવારજનોએ અખબારમાં નોટિસ આપીને રદ કરાવી દીધો હોવા છતાં પણ આ જમીનો તારીખ ૧૬-૯-૨૦૨૨ના રોજ નકુલકુમાર ગાભા વાળા અને ગોકુલ કુમાર ગાભા વાળાએ મળીને સુનિલકુમાર ભગવતલાલ શાહને કૃ.૧૯.૧૩ લાખમાં વેચી રજીસ્ટર વેચાણ બાનાખત કરી આપી તે પેટે રૂ.૩.૫ લાખ રોકડા મેળવી લીધા હતા. ઉપરાંત સુભાષભાઈની માલિકીની જમીનનો પણ રજીસ્ટર્ડ વેચાણ બાનાખત રૂપિયા ૯.૦ બે લાખમાં કરી આપી તે પેટે રૂ.૨.૫૦ લાખ રોકડા લીધા હતા અને બાનાખત કરતી વખતે નકુલકુમાર કિરીટ કુમાર ગાભાવાળા અને ગોકુલ કુમાર શૈલેષકુમાર ગાભાવાલાએ પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ હયાત છે અને તે રદ કે વીડ્રો કરવામાં આવેલ નથી અને પાવર ઓફ એટર્નીનો અમલ ચાલુ છે. તેવું ખોટું સોગંદનામુ કરી આપતા ઉમરેઠ પોલીસે નકુલકુમાર કિરીટકુમાર ગાભાવાલા, ગોકુલકુમાર શૈલેષકુમાર ગાભા વાળા અને સુનિલ ભગવતલાલ શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે















