![]()
Air India Financial Loss 2026 : ટાટા જૂથની માલિકીની એર ઈન્ડિયા હાલમાં ભારે નાણાકીય નુકસાન અને વૈશ્વિક પડકારો વચ્ચે સંઘર્ષ કરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મહત્વની બેઠક 7 મેએ મુંબઈમાં યોજાશે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ખર્ચ ઘટાડવાના ઉપાયો, નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ની પસંદગી અને કંપનીની વર્તમાન નાણાકીય સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
એર ઈન્ડિયાને 22,000 કરોડ રૂપિયાની જંગી ખોટ
સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચ 2026માં પૂરા થતા નાણાકીય વર્ષમાં એર ઈન્ડિયાને 22,000 કરોડ રૂપિયાથી વધુની જંગી ખોટ જવાનો અંદાજ છે. ખાસ કરીને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે એરલાઈન્સ નવી મુશ્કેલીઓમાં મુકાઈ ગઈ છે. એરસ્પેસ પર પ્રતિબંધોના કારણે ફ્લાઈટો લાંબા રૂટ પર ઉડાન ભરવી પડે છે જેનાથી ઈંધણનો વપરાશ અને ખર્ચ સતત વધી રહ્યો છે.
આ પણ વાંચો : બાલ્કનીની ગ્રીલ બની ગઈ મોતની જેલ ! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગની ડીઝાઈને લીધા 9 જીવ
કડક પગલાં પર વિચારણા
વધતા ખર્ચને કાબૂમાં લેવા માટે એર ઈન્ડિયા કેટલાક કડક પગલાં પર વિચારણા કરી રહી છે. કંપની હવે હવાઈ ટિકિટના ભાડામાંથી ભોજનની સુવિધાને અલગ કરવાના વિકલ્પ પર ચર્ચા કરી રહી છે. આ ઉપરાંત બિઝનેસ ક્લાસના મુસાફરો માટે જે લાઉન્જ એક્સેસની સુવિધા મળે છે તેને પણ વૈકલ્પિક બનાવવાની તૈયારી છે. જોકે આ પ્રસ્તાવો હજુ માત્ર વિચારણા હેઠળ છે અને તેના પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
વધતા ઈંધણના ભાવ એરલાઈન્સ માટે પડકારજનક બન્યા
બેઠકમાં સિંગાપોર એરલાઈન્સની ભાગીદારી અને નવા નેતૃત્વની નિમણૂક જેવી બાબતો કેન્દ્રમાં રહેશે. એર ઈન્ડિયા અને ટાટા સન્સ તરફથી આ બેઠક કે નાણાકીય અંદાજો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં થઈ રહેલો વધારો એરલાઈન્સ માટે અત્યારે સૌથી મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.
આ પણ વાંચો : કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવ્યો















