![]()
– વડોદરા વડી કચેરીએ એકલવીરે આંદોલન છેડયું
– નડિયાદ-કપડવંજ-મોડાસા-શામળાજી રેલવે લાઇન બંધ હોવાથી મોડાસાથી શામળાજી રેલવે લાઇન શરૂ કરવા માંગ
કપડવંજ : કાકાના ખમણ… કાકાના ખમણ.. માઇક પર બોલીને સાયકલ પર ખમણ વેચતા અને ૮૦ વર્ષની ઉંમરે પણ જીવન સામે સંઘર્ષ કરતા કપડવંજના મહેશભાઈ રમેશચંદ્ર ત્રિવેદીએ આજે આખા પંથકનું ધ્યાન ખેંચ્યં છે. મોડાસાથી શામળાજી રેલવે લાઇનના પ્રશ્ને ન્યાય મેળવવા માટે આ વયોવૃદ્ધ ‘એકલવીર’ વડોદરા રેલવે વિભાગની વડી કચેરીની દીવાલ પર બેનર લગાવી ઉપવાસ પર ઉતરી ગયા છે.
કોરોના કાળથી નડિયાદ-કપડવંજ-મોડાસા-શામળાજી રેલવે લાઇન બંધ હાલતમાં છે, જે પ્રજા માટે ભારે હાલાકીનું કારણ બની છે. મહેશભાઈની મુખ્ય માંગણીઓ છે કે, મોડાસાથી શામળાજી સુધીની ટ્રેન સેવા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. મોડાસાથી શામળાજી સુધીની રેલવે લાઇન નાખવામાં આવે, જેથી ઉત્તર ભારત (દિલ્હી) અને મુંબઈ તરફ જવા માટે કપડવંજ પંથકને સીધી કનેક્ટિવિટી મળી રહે. કપડવંજના મોહમ્મદમુરાદના ખાંચામાં રહેતા મહેશભાઈએ પોતાની નિસ્વાર્થ સમાજસેવા દ્વારા એવા રાજકીય આગેવાનોને શરમમાં મૂકી દીધા છે. જેઓ માત્ર ચૂંટણી સમયે મતોની ભીખ માંગવા નીકળે છે. જ્યારે શહેરના હિત માટે લડવાની વાત આવી ત્યારે કોઈ પક્ષ કે મોટા ગજાના નેતા આગળ ન આવ્યા, પરિણામે ૮૦ વર્ષના આ વૃદ્ધે ધોમધખતા તાપમાં વડોદરા જઈને આંદોલન છેડયું છે.
મહેશભાઈ કપડવંજમાં એકલા રહે છે. તેમના પત્ની સ્વર્ગસ્થ છે, પુત્ર વડોદરા અને પુત્રી અમદાવાદ સાસરે છે. આટલી ઉંમરે પણ શારીરિક અને માનસિક રીતે સક્ષમ મહેશભાઈએ નિર્ધાર કર્યો છે કે, જ્યાં સુધી રેલવે વિભાગ તરફથી લેખિત બાંહેધરી કે સંતોષકારક પ્રત્યુત્તર નહીં મળે ત્યાં સુધી તેઓ ઉપવાસ છોડશે નહીં. આ ઘટનાને પગલે કપડવંજના નગરજનોમાં રાજકીય પક્ષો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો જણાવી રહ્યાં છે કે, ‘જે નેતાઓ માત્ર પોતાના વિકાસમાં રસ રાખે છે અને પ્રજાને ભોળી બનાવીને ખિસ્સા ભરે છે, તેમને આગામી ચૂંટણીમાં પાઠ ભણાવવો જરૂરી છે.’ મહેશભાઈ ત્રિવેદી જેવા સામાજિક કાર્યકરની આજે નગરને જરૂર છે.















