![]()
કરજણ તા.27 કરજણ ભાજપના આયાતી ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ અને તેના સાગરીતો દ્વારા આદિવાસી સમાજના બે ડ્રાઇવરોને ઊંઘા માથે લટકાવી ઢોર માર મારવાના બનાવમાં પોલીસે મોડે મોડે એટ્રોસિટિની ફરિયાદ નોંધ્યાના ચોથા દિવસે પાંચેય આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે અટકાયતી પગલાના કામે ધરપકડની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ કરજણના કોંગ્રેસમાંથી આયાતી ભાજપ ધારાસભ્યના પુત્ર અને નારેશ્વર પટ્ટામાં તેમજ અન્ય વિસ્તારોમાં રેતીની લીઝોના ધંધા સાથે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સંકળાયેલા પુત્ર ષિ પટેલ અને તેના ચાર સાગરીતો સામે આદિવાસી શ્રમિક ડમ્પર ચાલકોને ડીઝલ ચોરીના આક્ષેપો કરી ઊંધા માથે લટકાવી પાઈપ વડે ઢોર માર મારી અમાનુષી અત્યાચાર ગુજારવા અને જાતિવિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારવા બાબતની ગત તા.૧૫ ના રોજ બનેલી ઘટના સંદર્ભે તા.૨૨ના રોજ આદિવાસીઓના ભારે હોબાળા વચ્ચે કરજણના વલણ પોલીસ સ્ટેશનમાં પીડિત નટવરભાઈ વસાવાએ (રહે.ઇન્દોર, તા.ઝઘડિયા)ે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ કરજણ ડીવાયએસપીને સોંપવામાં આવી હતી.
એટ્રોસિટિની ફરિયાદ બાદ આરોપીઓની પોલીસે તપાસ અને શોધખોળ હાથ ધરી હતી. ઘટના બાદ ધારાસભ્યનો પુત્ર વિદેશમાં જતો રહ્યો હોવાની અટકળો પણ કરજણ પંથકમાં વહેતી થઈ હતી. પોલીસે અટકળોની વચ્ચે તે દિશામાં પણ તપાસ આરંભી હતી. ત્યારે ફરિયાદના ચાર દિવસ બાદ પાંચેય આરોપીઓ ષિ અક્ષયભાઈ પટેલ (રહે.લીલોડ,તા.કરજણ), જયદતસિંહ હિતેન્દ્રસિંહ રાજ (રહે.કરણ, તા.કરજણ), શાહિલ અનીસભાઈ પટેલ (રહે.સેવાસી, તા.વડોદરા), જાવિદખાન દિલાવરખાન પઠાણ (રહે.મોટીકોરલ, તા.કરજણ) અને વિજયસિંહ સુરેન્દ્રસિંહ રાજપૂત (રહે.અકોટા, વડોદરા) ગઇકાલે પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસ દ્વારા ગઇ રાત્રે અટકાયતી પગલાની સાથે નિવેદન અને પૂછપરછ બાદ અટકાયત કરવામાં આવી હતી. પાંચેય આરોપીઓને વલણ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આખી રાત રાખ્યા બાદ આજે બપોર બાદ સુલેહ ભંગ ના થાય તે માટે બીએનએસ ૧૨૬ હેઠળ ધરપકડ કરી કરજણ મામલતદાર સમક્ષ રજૂ કરતા તમામનો જામીન પર છૂટકારો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તપસમાં સહકાર આપવાની શરતે તમામને નોટિસ પણ આપવામાં આવી છે.
ઋષિ પટેલ અને સાગરીતો સામે ૧૧૭(૨)નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ
કરજણ ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ તેમજ તેના સાગરીતોના હુમલામાં ગંભીર રીતે ઘાયલ નટવરભાઇ વસાવા તેમજ ગિરીશ વસાવાના ઇજાના સર્ટિફિકેટ પોલીસ પાસે આવી ગયા બાદ પોલીસે પાંચેય આરોપીઓ સામે મહાવ્યથા પહોંચાડવાની બીએનએસ ૧૧૭(૨) કલમ ઉમેરવાનો રિપોર્ટ કોર્ટને કર્યો છે. આ કલમમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ છે.















