![]()
Bihar Bridge Collapse: બિહારના ભાગલપુરમાં ગત રાત્રે (ત્રીજી મે) ગંભીરા પુલ જેવી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ગંગા નદી પર બનેલા વિક્રમશિલા બ્રિજનો એક મોટો ભાગ અચાનક તૂટીને નદીમાં ખાબક્યો હતો. સ્થાનિક વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે બ્રિજ પરથી લોકોને સમયસર હટાવી લેવાતા કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
15 મિનિટ વહેલી સતર્કતાએ અનેક જીવ બચાવ્યા
જિલ્લા મેજિસ્ટ્રેટ નવલ કિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘બ્રિજમાં તિરાડ અને જોખમ જણાતા સ્થાનિક SHO અને અન્ય અધિકારીઓએ તાત્કાલિક લોકોને બ્રિજ પરથી દૂર કરવાનું શરૂ કર્યું હતું. આ સ્થળાંતરના માત્ર 15 મિનિટ બાદ જ બ્રિજનો સ્લેબ તૂટીને ગંગા નદીમાં પડ્યો હતો. જો અધિકારીઓએ સમયસર કાર્યવાહી ન કરી હોત, તો મોટી જાનહાનિ થઈ નથી.’
બ્રિજ પર વાહનવ્યવહાર ઠપ
આ ઘટના બાદ વહીવટીતંત્રે સુરક્ષાના કારણોસર ભાગલપુર અને નવગછિયા બંને બાજુથી વિક્રમશિલા બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પુલની મજબૂતીની તપાસ કર્યા વિના તેના પર અવરજવર શરૂ કરવી જોખમી છે.
25 વર્ષમાં જ પુલ ધરાશાયી
વિક્રમશિલા બ્રિજ વર્ષ 2001માં આશરે ₹2000 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. આશરે 4.5 કિલોમીટર લાંબો આ પુલ હજારો વાહનો માટે જીવાદોરી સમાન હતો. માત્ર 25 વર્ષના ટૂંકા ગાળામાં પુલનો ભાગ તૂટી પડતા બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
બ્રિજ બંધ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્રે ભાગલપુર જવા માંગતા લોકો માટે મુંગેર બ્રિજને વિકલ્પ તરીકે સૂચવ્યો છે. જો કે, આ વૈકલ્પિક માર્ગ 60 કિલોમીટર જેટલો દૂર હોવાથી મુસાફરોના સમય અને ખર્ચમાં મોટો વધારો થશે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના 22ના મોત થયા હતા
ઉલ્લેખનીય છેકે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહુવડ પાસે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ નવમી જુલાઈ 2025ના રોજ તૂટી પડવાથી 22 લોકોના મોત થયા હતા. જોકે, મહત્ત્વપૂર્ણ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા આ તૂટેલા બ્રિજ પરનું સમારકામ અને ટ્રાયલ પૂર્ણ થતા ટુ-વ્હિલરો અને રાહદારીઓ માટે ફરીથી ખોલવામાં આવશે.















