![]()
Vadodara : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોકુલ નગર, શિવમ નગર અને કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સતત વીજ સમસ્યાથી કંટાળેલા રહીશો ગઈકાલે લક્ષ્મીપુરા પેટા વિભાગીય કચેરી એમજીવીસીએલની ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ શિવમ નગર વિસ્તારમાં ગઈકાલે સવારથી જ વીજ પુરવઠો બંધ હતો. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, એમજીવીસીએલ કચેરીમાંથી યોગ્ય પ્રતિસાદ મળતો નથી અને ઉડાઉ જવાબ આપવામાં આવે છે.
વીજ પુરવઠો મોડી રાત સુધી શરૂ ન થતાં રહીશોએ વિરોધના ભાગરૂપે એમજીવીસીએલ કચેરીમાં જ ધામો નાખી દીધો હતો અને “લાઈટ શરૂ ન થાય ત્યાં સુધી અહીંથી નહીં હટીએ” તેવી ચીમકી ઉચ્ચારી હતી. કેટલાક રહીશો કચેરીમાં જ સૂઈ ગયા હતા.
રહીશોનું કહેવું છે કે, લક્ષ્મીપુરા પેટા વિભાગીય કચેરી શરૂ થયા બાદથી જ વિસ્તારમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેટલાક ઘરોમાં વીજળી આવે છે જ્યારે કેટલાક ઘરોમાં અંધારું રહે છે. ઉનાળાની ગરમીમાં વીજળી વગર ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.















