![]()
Jamnagar Railway Track Crack Found: જામનગર-લાખાબાવળ રેલ માર્ગ પર આજે સવારે એક મોટી રેલ દુર્ઘટના થતા અટકી છે. અંધાશ્રમ નજીક રેલવે ટ્રેકમાં અચાનક ‘વેલ્ડ ફ્રેક્ચર’ જોવા મળતા રેલવે વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પેટ્રોલિંગ કરી રહેલા રેલવે કર્મચારીની સમયસૂચકતાને કારણે એક માલગાડીને અકસ્માતનો ભોગ બનતા બચાવી લેવામાં આવી હતી.
પેટ્રોલિંગ દરમિયાન સામે આવી ખામી
મળતી માહિતી અનુસાર, જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં આજે સવારે 9:50 કલાકે રેલવેના કી-મેન અશોક કુમાર ટ્રેક પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની નજર રેલવેના પાટા પર પડી હતી, જે તૂટેલી હાલતમાં દેખાયા હતા. રેલવેની ભાષામાં તેને ‘વેલ્ડ ફ્રેક્ચર’ કહેવામાં આવે છે. આ ખામી અત્યંત જોખમી સાબિત થઈ શકતી હતી.
આ પણ વાંચો: જામનગરમાં ‘એસટીની સવારી સલામતની સવારી’ બની ગઈ જોર લગા કે હઇસા, વીડિયો શહેરભરમાં વાઈરલ
સમયસૂચકતાએ બચાવ્યો અકસ્માત
પાટામાં ક્રેક દેખાતા જ અશોક કુમારે તાત્કાલિક ધોરણે પોતાના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. આ જ સમયે ટ્રેક પરથી એક માલગાડી પસાર થવાની તૈયારીમાં હતી, પરંતુ સમયસર ખામીનો પત્તો લાગતા માલગાડીને સલામત અંતરે રોકી દેવામાં આવી હતી. કર્મચારીની આ ત્વરિત કામગીરીને કારણે સંભવિત મોટી જાન-માલની હાનિ ટળી હતી.
ઘટનાની જાણ થતા જ રેલવેનો એન્જિનિયરિંગ સ્ટાફ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ટ્રેક રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. અંદાજે એક કલાકથી વધુ સમયની જહેમત બાદ પાટાની મરામત પૂર્ણ કરવામાં આવી હતી. મરામત કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સવારે 11:10 કલાકે રેલવે વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો હતો.












