![]()
પોરબંદર નજીક બખરલા વાડી વિસ્તારનો બનાવ મધમાખીથી બચવા માટે પાણીની કુંડીમાં પડયા છતાં પણ પીછો ના છોડયો, છ જેટલા પશુઓ પણ ઝપટે ચડયા
પોરબંદર, : પોરબંદરના બખરલાના વાડી વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડે હુમલા કરતા વૃધ્ધ અને વૃધ્ધાને સારવાર માટે પોરબંદર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધાની હાલત ગંભીર ગણાવાઈ હતી. વળી, તેમને સારવાર માટે લેવા ગયેલા 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સનાં ઇ.એમ.ટી. ઉપર પણ મધમાખીઓએ હુમલો કરીને ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે.
પોરબંદરના બખરલા અને બોરીચા વચ્ચેના વાડી વિસ્તારમાં ઝેરી મધમાખી રીતસરનો આતંક અને તાંડવ મચાવ્યા હતા. વાડીમાં ઝેરી મધમાખીનું ઝુંડ અચાનક ઉડવા લાગ્યું હતું અને વાડીમાં કામ કરી રહેલા વેજીબેન કેશુભાઈ કેશવાલા નામના ૬૫ વર્ષના વૃદ્ધા ઉપર ઘાતક હુમલો કરી દીધો હતો. જેથી બચવા માટે તેઓ પાણીની કુંડીમાં પડી ગયા હતા તેમ છતાં પણ મધમાખીઓ હુમલો કરતી રહી હતી. એટલું જ નહીં, નજીકમાં સવદાસભાઈ ખૂંટી નામના 75 વર્ષના વૃદ્ધ કામ કરતા હતા તેમના ઉપર પણ મધમાખીએ હુમલો કરી દીધો હતો.
જે અંગે ઈમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને બન્નેને સારવાર માટે પોરબંદર લવાતા હતા ત્યારે અચાનક જ વૃધ્ધાના કપડાંમાંથી મધમાખીઓ બહાર આવવા લાગી હતી અને ઇ.એમ.ટી. કુલદીપ ચાવડા ઉપર પણ હુમલો કરી દીધો હતો. તેથી પાયલોટે ફુલ સ્પીડમાં 108 ચલાવીને હોસ્પિટલે પહોંચાડી દીધી હતી અને ઘવાયેલા વૃદ્ધા વેજીબેન તથા વૃદ્ધ સવદાસભાઇની સારવાર ચાલુ કરાવી દીધી હતી. જ્યારે ઈ.એમ.ટી. કુલદીપ ચાવડાને પણ ઉલટીઓ થવા લાગતા તેમને પણ સારવાર આપવામાં આવી હતી. અહીં વાડી વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડે અન્ય ત્રણ-ચાર લોકોને પણ ડંખ દીધા હતા, પરંતુ વધારે ઈજા થઈ નહીં હોવાથી સારવાર લેવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું છે. વળી, અહીં ગાય, ભેંસ સહિત છ જેટલા પશુઓને પણ ડંખ મારી દીધાનું બહાર આવ્યું છે.















