![]()
Vadodara : પશ્ચિમ રેલવેના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ડભોઈ–છોટાઉદેપુર સેક્શન પર આવેલા બ્રિજ નં. 130ના સમારકામ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કાર્યથી પુલની ભારવહન ક્ષમતામાં વધારો થવા સાથે આ સેક્શનમાં ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત બનશે.
વડોદરા વિભાગના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા મુજબ, આ પુલ નદીના તળમાં ગંભીર ધોવાણ (Scouring)ના કારણે પ્રભાવિત થયો હતો, જેના કારણે પાઇલ કેપની નીચેના પાઇલ્સ ખુલ્લા પડી ગયા હતા, જે માળખાકીય સુરક્ષા માટે ગંભીર પડકાર હતો.
ખુલ્લા પડેલા પાઇલ્સની સફાઈ અને ગ્રાઉટિંગ કરી 1.4 મીટર લાઇનર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. દરેક પિયર પર 8 અતિરિક્ત પાઇલ્સ એટલે કે કુલ 80 નવા પાઇલ્સનું નિર્માણ કરવામાં આવ્યું. પિયર જેકેટિંગ તથા નવા પાઇલ્સને હાલના સ્ટ્રક્ચર સાથે એકીકૃત કરવામાં આવ્યા છે.















