![]()
Navsari News : નવસારી જિલ્લા ભાજપ સંગઠન માળખામાં સમાવિષ્ટ કરાયેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મંત્રી તેમજ કિસાન અને બક્ષીપંચ મોરચાના બે મહામંત્રી મળી નવનિયુક્ત ચાર હોદ્દેદારોએ જલાલપોરને અન્યાય કરવાના આરોપ સાથે હોદ્દા પરથી રાજીનામા આપી દેતા ભીતરમાં ખદબદી રહેલો અસંતોષ સપાટી પર ઉભરી આવ્યો છે. સોમવારે(9 ફેબ્રુઆરી, 2026) મોડી સાંજે નવા સંગઠનના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલના જૂથને મહામંત્રીપદ નહીં મળતા અન્યાયની લાગણી પ્રસરી છે.
નવસારી ભાજપમાં ભડકો
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખપદે ભુરાભાઈ શાહની સતત બીજી ટર્મ માટે વરણી કરવામાં આવી હતી. પરંતુ તેમની સાથેની ટીમની વરણી લાંબા સમયથી થતી ન હતી. જેના કારણમાં મહત્ત્વપૂર્ણ ગણાતા પદ માટેની ખેંચતાણ ચાલતી હોવાનું કહેવાય છે.
નિમણૂકના બીજા જ દિવસે 4 હોદ્દેદારોના રાજીનામા
ખાસ કરીને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ અને નવસારીના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ જુથ વચ્ચે વર્ચસ્વ જમાવવા બાબતનો વિખવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જે અવાર-નવાર જાહેર કાર્યક્રમોમાં ભાષણ દરમિયાન શાબ્દિક પ્રહારોથી જોવા મળતું હતું.
સી.આર.પાટીલે પોતાના ભાષણ દરમિયાન આર.સી.પટેલને જાહેરમાં કહ્યું હતું કે “વાઘને કોણ કહે તારું મોં ગંધાય છે’ એવો ટોણો મારતા બંને વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ પણ વાંચો: ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે?
બીજા એક કાર્યક્રમમાં વિજલપોરમાં આર.સી.પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને તેમની હાજરીમાં જાહેર મંચ પરથી તમે નવસારીનું જુઓ, વિજલપોરનું નહીં એમ કહેતા કાર્યકરોમાં આર.સી.પટેલના વર્ચસ્વને પડકાર ખુદ ભાજપના નેતા કરી રહ્યા હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. આમ લાંબા સમયથી આર.સી. પટેલનું કદ કાપવામાં આવી રહ્યાની લાગણી પ્રવર્તતી હતી.
















