![]()
આગ પર અંકુશ માટે ફાયરબ્રિગેડનાં 12 વાહનો કાર્યરત હતાં
દોઢ વર્ષનાં બાળકનો મૃતદેહ માતાનાં મૃતદેહ સાથે ચોંટી ગયેલો મળી આવ્યો : વહેલી સવારે 3.40 વાગ્યે આગ લાગી
નવી દિલ્હી: રવિવાર વહેલી સવારે પૂર્વ દિલ્હીનાં વિવેક વિહારમાં એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં બે પરિવારનાં ૯ લોકોનાં મોત થયા છે જેમાં એક નાનું બાળક પણ સામેલ છે.
આ ઘટનાની માહિતી સવારે ૩.૪૮ કલાકે વિવેક વિહાર ફેઝ-૧નાં ચાર માળની ઇમારતમાંથી મળી હતી. જેને પગલે ફાયરબ્રિગેડ, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
આગની જ્વાળાઓએ ઇમારતની બીજા, ત્રીજા અને ચોથા માળે બનેલા ફલેટોને પોતાની ચપેટમાં લઇ લીધા હતાં. ફાયરબ્રિગેડ, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.
ધાબાનો દરવાજો બંધ હોવાના કારણે ઇમારતમાં રહેતા લોકોને આગથી બચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. આગ પર અંકુશ મેળવવા ફાયરબ્રિગેડનાં ૧૨ વાહનો કામે લગાડવામાં આવ્યા હતાં. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ), ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમોએ લોકોએ બહાર કાઢવામાં અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર એસીમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. જો કે આગ લાગવાનાં ચોક્કસ કારણો શોધવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એક નાના બાળકનો મૃતદેહ તેની માતાનાં મૃતદેહ સાથે ચોંટી ગયો હતો. ત્રણ લોકોનાં મૃતદેહ પલંગ પર પડેલા મળી આવ્યા છે જે દર્શાવે છે કે આગ એટલી પ્રચંડ હતી કે તેમને પલંગ પરથી ઉઠવાની પણ તક મળી ન હતી.















